રિલાયન્સ દ્વારા મેન્ગ્રુવ્સ જંગલ માટે રાજ્ય સરકાર સાથે કરાર

જામનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી MISHTI (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes) યોજના અંતર્ગત મરીન નેશનલ પાર્કમાં 3500 એકર વિસ્તારમાં  ચેર (મેન્ગ્રુવ્સ)નાં જંગલોના સર્જન માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્ય સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જામનગર અને દ્વારકાનાં સાંસદ પૂનમબહેન માડમની ઉપસ્થિતિમાં રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન મંત્રી મૂળુભાઈ બેરા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડિરેક્ટર તથા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.આ કરાર અનુસાર આગામી પાંચ વર્ષમાં રૂ. 510 લાખના ખર્ચે ચેરનાં વૃક્ષોના વનનું નિર્માણ કરવામાં આવશે. સમુદ્રતટના ક્ષાર પ્રવેશને રોકવા તથા દરિયાઈ ઈકોસિસ્ટમની જાળવણી અને પર્યાવરણ સંતુલનમાં આ ચેર ખૂબ મોટું યોગદાન આપશે.

આ કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી અને ડિરેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ ચંદ્ર પ્રકાશ ગોયલ, ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ એસ.કે.ચતુર્વેદી તથા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.