દહેગામથી મળ્યો ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ

રાજ્યમાં એક બાજું પાણી જન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે, ત્યારે બીજી બાજું રાજ્યમાં ચાંદિપુરા વાયરસનો એક સંકાસ્પદ કેસ નોંધાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામના સાત વર્ષના એક બાળકને તાવ, ખેંચ સાથે મગજના તાવની અસર જણાતા ચાંદીપુરા વાયરસની તપાસ અર્થે બાળકનું સેમ્પલ પુણેની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યું છે.

ગાંધીનગરના આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર દેહગામમાં અમરજીના મુવાડા ખાતે રહેતા પરિવારનો સાત વર્ષના બાળકને તારીખ 9 જુલાઈના રોજ તાવ આવ્યો હતો. તાવ સાથે બાળકને ખેંત આવતા દર્દીને દહેગામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાંથી વધુ સારવાર અર્થે બાળકને રીફર કરવામાં આવ્યું હતું, જે બાદ બાળકને અમદાવાદના નરોડાની ખાનગી હોસ્પિટલમાં સીફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાં બાળકની તબિયતમાં સુધાર ન જણાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્ય હતો. હાલમાં બાળક સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે દાખલ છે.

ઉલ્લેખનીય છે કે અહિં તબીબોને બાળકમાં ચાંદીપુર રોગના વાયરસના લક્ષણો જણાતા જરૂરી સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે પૂણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હાલ ચાંદીપુરા રોગ છે કે નહીં, તેનો ખુલાસો થયો નથી. જ્યા આ ચાંદીપુરા રોગના રિપોર્ટ આવતા 10 દિવસ જેટલો સમય લાગે છે. ત્યારે તબીબો દ્વારા બાળદર્દીની સઘન સારવાર શરૃ કરી દીધી છે.તો બીજીબાજુ દહેગામના અમરાજીના મુવાડા ગામમાં પણ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે.

ચાંદીપુર વાયરસના લક્ષણો

ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીઓને તાવ આવે, ઉલ્ટી થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે તેમજ મગજનો તાવ જેવા લક્ષણો દેખાય છે. પ્રાથમિક તબક્કે આ રોગની ઓળખ કરવી મુશ્કેલ છે. ત્યારે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષથી ઓછી વયના બાળકોમાં જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે. તેમજ આ વાયરસથી સંક્રમિત થયેલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળવી જરૂરી છે. 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા જિલ્લામાં આ રોગચાળો નોંધાયો હતો. ત્યારબાદ આંધ્ર પ્રદેશ અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ તે દેખાયો હતો.