અંબાજીમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં 225-ટકાનો ઉછાળો

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી તીર્થધામ ક્ષેત્રે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ તેમ જ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યો હતો. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સ્થાનક ભાવિકોમાં અત્યંત અનેરું મહત્વ ધરાવે છે અને આ પરિક્રમા મહોત્સવના લીધે શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મહોત્સવ બાદ પરિક્રમા પથ પર આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં 225 ટકાનો વધારો થયો છે.

સરકાર અંબાજી યાત્રાધામના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. પરિક્રમા મહોત્સવમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના આકર્ષણો ખુલ્લાં મૂક્યા બાદ આગામી દિવસોમાં અંબાજી મંદિર કોમ્પ્લેક્સ નિર્માણ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. તેમાં મંદિરની આસપાસના 6146 ચોરસ મીટર વિસ્તારમાં વિકાસકાર્ય શરૂ કરવામાં આવશે. તેના માટે મંજૂરી આપી દેવામાં આવી છે અને અત્યારે સંપાદનની કામગીરી શરૂ છે. જાણીતા આર્કિટેક્ટ બિમલ પટેલ અત્યારે તે કોમ્પ્લેક્સની ડિઝાઇનની કામગીરી કરી રહ્યા છે. અંબાજી મંદિર પરિસરથી 75 મીટર વિસ્તારમાં વિકાસકાર્ય કરવા હેતુ તેમ જ નવીન બિલ્ડિંગ માટેના સંયુક્ત અંદાજિત રૂ. 62 કરોડના ખર્ચ માટે સરકાર દ્વારા આગામી બજેટમાં નાણાકીય જોગવાઈ કરવામાં આવશે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના જણાવ્યા અનુસાર મંદિરમાં હવે દૈનિક એવરેજ 450 થી 500 લોકોની થઈ છે જે સંખ્યા વીક-એન્ડમાં 600થી 700 સુધી પહોંચે છે. પરિક્રમા પથમાં મૂળ 50 શક્તિપીઠની પ્રતિકૃતિને આધારિત મંદિરો બનાવવામા આવ્યાં છે. એ સિવાય લાઇટ એન્ડ સાઉન્ડ શો અત્યારે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રવાસીઓની સંખ્યા વધવાથી સ્થાનિક સ્તરે રોજગારીમાં પણ વધારો થયો છે.