સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 182મી બેઠક ગાંધીનગરમાં યોજાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના વેપારીઓ કિસાનો સહિતના જે લાભાર્થીઓને મળવાપાત્ર ધિરાણ સહાય યોજનામાં સરકાર ગેરંટર છે તેવા લાભાર્થીઓને ધિરાણ આપવામાં ગતિ લાવવા બેંકોને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે PM સ્વનિધિ જેવી નાના વેપારીઓ-ફેરિયાઓને આત્મનિર્ભર બનાવતી ધિરાણ સહાયમાં અને નાના ખેડૂતોની કિસાન ક્રેડિટ જેવી યોજનાઓમાં પણ સરકાર ગેરેન્ટર હોય છે ત્યારે બેંકોને ધિરાણ સામે સિક્યુરિટીની કોઈ સમસ્યા હોવી ન જોઈએ.મુખ્યમંત્રી ગાંધીનગરમાં 182મી સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે પશુધન માટેના તેમજ માછીમારોના ક્રેડિટ કાર્ડની યોજનામાં પણ ગતિ લાવવા બેન્કર્સને સૂચન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના ગરીબ અને નાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવાની નેમ સાથે જન કલ્યાણ યોજનાઓ અમલી બનાવી છે ત્યારે બેન્કર્સ આવી યોજનાઓની સફળતામાં ઉત્તમ યોગદાન આપી શકે તેમ છે. ભૂપેન્દ્ર પટેલે યુવા ઉદ્યોગ સાહસિકોના સ્ટાર્ટઅપ્સને પણ બેંક સરળતાથી અને મોટી સંખ્યામાં ધિરાણ મદદ આપે એ દિશામાં વિચારવા પણ અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, દરેક વ્યક્તિ અર્થતંત્ર સાથે જોડાઈને આગળ વધે ત્યારે જ 2047માં વિકસિત ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરી શકાય. બેન્ક્સ પણ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સહયોગ આપે અને વધુને વધુ લોકોને ફાઈનાન્સિયલ ઇન્ક્લુઝનનો લાભ આપે તેવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.ફાઇનાન્સિયલ સિસ્ટમ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત અને ગતિશીલ બનાવવામાં જે યોગદાન આપે છે તેમાં બેંક્સની ભૂમિકા વધુ સંગીન બનાવવાનું વિચાર મંથન એસ.એલ.બી.સી.માં થાય તે જરૂરી છે.તેમણે હાલની વરસાદી આફતમાંથી નાના વેપારીઓ – ધંધા વ્યવસાયકારોની ઝડપભેર પૂર્વવત થવા બેંક્સની મદદ મળી રહે તેવો અનુરોધ કર્યો હતો.

મુખ્ય સચિવએ કહ્યું કે એસ.એલ.બી.સી.ની બેઠકોમાં યોજનાઓનો સર્વગ્રાહી રિવ્યુ કરીને રાજ્ય સરકારના સૂઝાવો પણ તેના અમલમાં લેવાય તેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પીએમ સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના જેવી નાના અને સામાન્ય માનવીઓને લાભદાયી યોજનાઓમાં ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન વધુ આગળ વધારવા પણ તેમાં ઉપસ્થિત બેન્કર્સને સૂચનો કર્યા હતા. એસ.એલ.બી.સી.ના ચેરમેન અને બેંક ઑફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી લાલસિંઘ, રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના મધ્યસ્થ કાર્યાલયના CGM શ્રીમતી નિશા નામ્બિયારે આ બેઠકનો એજન્ડા પ્રસ્તુત કરીને રાજ્ય સરકાર તથા બેંક્સના સહયોગથી યોજનાકીય સિદ્ધિઓ હાંસલ કરવા હિમાયત કરી હતી.