નરેન્દ્ર મોદીની પ્રથમ શપથને થયા 23 વર્ષ, રાજ્ય સરકારનો મોટો નિર્ણય

ગાંધીનગર: નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર, 2001ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. રાજ્ય સરકારનું કહેવું છે કે, 2001થી 2024 સુધીની તેમની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથાને લોકો સુધી લઈ જવા માટે 07 થી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે. જેનો પ્રારંભ આજે ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ તથા વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમમાં યોજાયેલા સામૂહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી.

ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓએ, મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવોએ જે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી, તેમાં જણાવાયું –

  • હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું.
  •  મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ.
  • હું સ્વનો વિચાર કરતા પહેલાં સર્વનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ.
  • દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ.
  • હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ.
  • હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ.
  • જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.
  •  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ.
  • રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.