ગાંધીનગર: ગણપત યુનિવર્સિટીએ 25 એપ્રિલ, 2026ના રોજ ગિફ્ટ સિટી ક્લબ ખાતે એક દિવસીય એચ.આર. સંમેલન, “CHRO Conclave-2026″નું આયોજન કર્યું હતું.
AI ટેકનોલોજી સમય સાથે સતત પરિવર્તન પામી રહી છે. તેવા સમયમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના ભાવિ પ્લાનિંગ સંદર્ભે સંપૂર્ણ વિચાર-વિમર્શ કરવાના ઉદ્દેશ સાથે આ આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ, શિક્ષણ શાસ્ત્રીઓ, એચઆર લીડર્સ અને પ્રોફેશનલ્સ સૌએ એક મંચ ઉપર ભેગા થઈ નક્કર વિચારણા કરવાનું પસંદ કર્યું હતું. માનવતાવાદી અભિગમ ધરાવતી વ્યાપારિક સંસ્થાઓ – કંપનીઓ વચ્ચે સંવાદિતા સધાય તે એક હેતુ હતો. સાથે જ બધાં વચ્ચે એક સેતુ રચાય તે પણ આ કોન્કલેવનો ઉદ્દેશ્ય હતો. ભવિષ્યમાં પ્રતિભાશાળી માનવ સંસાધનોના વ્યવસ્થાપનમાં વધુ કાર્યક્ષમ નીતિ ઘડી શકાય તે આ કોનક્લેવનો એક મહત્વનો આશય હતો.
ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ કોન્કલેવ માટે ખાસ અમેરિકાથી ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખીય સંબોધન દ્વારા તેમણે શુભકામનાઓ પાઠવી હતી. ટેકનોલોજીના વિનિયોગ સાથે થતાં એચ.આર.મેનેજમેન્ટમાં પણ માનવતાવાદી અભિગમની જરૂરિયાત ઉપર તેમણે ભાર મૂક્યો હતો.
ગણપત યુનિવર્સિટીના જોઈન્ટ પ્રેસિડેન્ટ અને ગ્રુપ પ્રો ચાન્સેલર પ્રો. ડો. મહેન્દ્ર જણાવ્યું હતું કે, કૌશલ્ય આધારિત અને ઉદ્યોગ અભિમુખ શિક્ષણની અનિવાર્યતા આજના સમયમાં જરૂરી છે. જેના દ્વારા ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચે એક મજબૂત સેતુ રચાશે.વિદ્યાર્થીઓને હવે આપણે “ફ્યુચર-રેડી કોમ્પિટન્સીસ” સાથે તૈયાર કરવા પડશે. જેથી તેઓ AI જેવી ટેકનોલોજી અને અન્ય વૈશ્વિક પડકારોનો યોગ્ય રીતે સામનો કરી શકે.
આ કોનક્લેવમાં વજ્ર ફાઉન્ડેશનના સ્થાપક રૂઝાન ખંભાતા, જીઆઇડીસી સાણંદના પ્રેસિડેન્ટ અજિત શાહ, ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સ્કીલના એડવાઈઝર શ્રીનિવાસ, અદાણી ગ્રુપના મનોજ શર્મા, એસોચેમના ચિંતન ઠાકર, નાબાર્ડના નિધિ શર્મા, રામકૃષ્ણ એક્સપોર્ટ્સના ડો. નિરવ મંદિર, તિરૂપતિ ઓઇલના પ્રિયાંશી પટેલ, મારીની ફયાતના સંજીવ કુમાર, પી.ડબલ્યુ.સી.ના સીએ સુરેશ સ્વામી, એપોલો ટાયરના રાજેશ સિંઘ, જીએસપી ક્રોપ સાયન્સના વિજયેન્દ્ર પુરોહિત, એપી મોલ્લરના ભૂષણ મલકાની, દિશમાન કાર્બોજેનના નિલેશ દેશમુખ, મેડિ ફાર્માના મનોજ ભટ્ટ, ક્વોન્ટમ કોમ્યુનિકેશનના રવિન્દ્ર બારલિંગય, ઓ.એન.જ઼ી.સી.ના પ્રદીપ સાને અને અરવિંદ એડવાન્સ મટીરીયલ્સના નિશિગંધા કુલકર્ણી સહિત અનેક નિષ્ણાતો, એચ.આર. પ્રોફેશનલ્સ તેમજ કેળવણીકારોએ ઉપસ્થિત રહી પોતાના વિચારો અને સૂચનો દ્વારા મૂલ્યવાન પ્રદાન કર્યું હતું.
ગણપત યુનિવર્સિટી દ્વારા સંપાદિત થયેલા AI વિશેના એક પુસ્તક ઉપરાંત એચ.આર.વિષે બે પુસ્તિકાઓનું તેમજ ઇન્ડસ્ટ્રી એલાઇન્ડ પ્રોફેશનલ સર્ટિફિકેટ કોર્સના એક માહિતીસભર બ્રોશરનું પણ મહેમાન મહાનુભાવોના હસ્તે વિમોચન થયું હતું. વિવિધ કંપનીઓ અને સંસ્થાઓ સાથે વિદ્યાર્થીઓના લાભાર્થે ત્રણ જેટલા એમ.ઓ.યુ. પણ યુનિવર્સિટી દ્વારા સાઇન થયા હતા.




