EU સાથેના FTA કરારથી આત્મનિર્ભર ભારતને મળશે મજબૂતીઃPM મોદી

નવી દિલ્હીઃ આજે વિશ્વ માટે ભારત આશાનું કિરણ છે, દેશ માટે EU સાથેનો કરાર નવી તકો લાવનાર છે, એમ આર્થિક સર્વે રજૂ થવા પહેલાં PM મોદીએ કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ કરારથી દેશ માટે એક વિશાળ બજાર ખૂલ્યું છે. તેને કારણે દેશમાં અનેક નવી તકો ઊભી થશે.

તેમણે જણાવ્યું હતું કે ‘રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ’ અમારી સરકારની ઓળખ છે અને અમે ટેક્નોલોજી સાથે આગળ વધતા રહીશું. વૈશ્વિક પડકારોની તરફ ધ્યાન દોરતાં તેમણે કહ્યું હતું કે આ સમય સમસ્યાઓનો નહીં, પરંતુ ઉકેલનો સમય છે.સંસદનું બજેટ સત્ર બુધવાર (28 જાન્યુઆરી 2026)થી શરૂ થઈ ચૂક્યું છે. બજેટ સત્રના બીજા દિવસે આજે આર્થિક સર્વે રજૂ થવાનો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામન સવારે 11 વાગ્યે સંસદમાં નાણાકીય વર્ષ 2026 માટેનો આર્થિક સર્વે રજૂ કરશે. નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા તૈયાર કરાયેલો આ દસ્તાવેજ સરકારના નાણાકીય પ્રદર્શનનું રિપોર્ટ કાર્ડ છે.

આમાં ગયા વર્ષ દરમિયાન દેશની જીડીપી, વિકાસ અથવા વૃદ્ધિ કેવી રહી તેની માહિતી આપવામાં આવે છે. ઉપરાંત, તેમાં મોંઘવારી, ઉદ્યોગો સહિત અન્ય નાણાકીય વિગતો પણ સમાવિષ્ટ હોય છે. સરળ ભાષામાં કહીએ તો આર્થિક સર્વેમાં દેશની નાણાકીય સ્થિતિ (ફાઇનાન્શિયલ હેલ્થ) અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે.

આ સત્ર મહત્વપૂર્ણ છે

તેમણે કહ્યું હતું કે ગઈ કાલે માનનીય રાષ્ટ્રપતિજીએ સંયુક્ત સદનમાં ઘણી માર્ગદર્શક વાતો રજૂ કરી છે. સત્રની શરૂઆતમાં અને 2026ની શરૂઆતમાં રાષ્ટ્રપતિજીએ સંસદસભ્યો પાસેથી જે અપેક્ષાઓ વ્યક્ત કરી છે, તે ખૂબ સરળ શબ્દોમાં રાષ્ટ્રના વડા તરીકેની તેમની ભાવનાઓ દર્શાવે છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમામ માનનીય સાંસદોએ તેને ગંભીરતાથી લીધી હશે.

આ સત્ર પોતે જ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે આ બજેટ સત્ર છે. 21મી સદીનો એક ચોથો ભાગ પૂર્ણ થઈ ગયો છે અને હવે બીજા ચોથા ભાગની શરૂઆત થઈ રહી છે. 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટેના મહત્વપૂર્ણ 25 વર્ષનો સમયગાળો હવે શરૂ થઈ રહ્યો છે. આ સદીના બીજા ક્વાર્ટરનું આ પહેલું બજેટ છે. અને નાણાં મંત્રી નિર્મલા જી દેશના ઇતિહાસમાં પ્રથમ એવી નાણાં મંત્રી છે.