ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષો શ્રીલંકા પહોંચ્યા

કોલંબો: ભાગરૂપે ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન શ્રીલંકામાં યોજાય રહ્યું છે. જે ભારત સરકારના સાંસ્કૃતિક રાજદ્વારા અને આધ્યાત્મિક સંપર્કના ભાગરૂપે યોજાઈ રહ્યું છે. કોલંબોમાં આવેલા પ્રસિદ્ધ ગંગારામય મંદિરમાં હાલ આ પ્રદર્શન યોજાયું છે. જે ૪ થી ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી ચાલશે અને ૧૧ ફેબ્રુઆરીએ આ અવશેષો ભારત પરત ફરશે.આ અવશેષો હાલમાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તેમને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા પૂર્ણ રાજકિય સન્માન સાથે કોલંબો લઈ જવામાં આવ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ તેમની સાથે જોડાયું છે. જેમાં વરિષ્ઠ બૌદ્ધ ભિક્ષુઓ અને અધિકારીઓ પણ જોડાયા છે.આ પ્રદર્શન વડાપ્રધાનની એપ્રિલ ૨૦૨૫ની શ્રીલંકા મુલાકાત દરમિયાન વ્યક્ત કરાયેલા વિઝનના ભાગરૂપે યોજવામાં આવ્યું છે. તે ભારતને બૌદ્ધ ધર્મના જન્મસ્થાન તરીકેની સભ્યતાગત જવાબદારીને ઉજાગર કરે છે અને ભારત-શ્રીલંકા વચ્ચેના ઊંડા આધ્યાત્મિક, સાંસ્કૃતિક તેમજ લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે.દેવનીમોરી અવશેષો ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા શમળાજી નજીકના દેવનીમોરી પુરાતત્વ સ્થળમાંથી મળી આવ્યા છે. ૧૯૫૭માં પ્રખ્યાત પુરાતત્વવિદ્ પ્રો. એસ. એન. ચૌધરી દ્વારા ખોદકામ દરમિયાન આ અવશેષો મળ્યા હતા. સ્તૂપમાંથી મળેલું લીલા શિસ્ટનું કેસ્કેટ બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં અંકિત છે: “દશબલ શરીર નિલય” – એટલે બુદ્ધના શારીરિક અવશેષનું નિવાસસ્થાન. તેમાં તાંબાનું બોક્સ, રેશમી કાપડ, સોનાનો ઢોળ ચઢાવેલી ચાંદી-તાંબાની બોટલ, પવિત્ર રાખ અને અન્ય વસ્તુઓ છે. આ અવશેષો હવે એરટાઈટ કાચના ડેસિકેટરમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે.ગંગારામય મંદિર, જે ૧૯મી સદીના અંતમાં વેનેરેબલ હિક્કાડુવે સુમંગલ નાયક થેરા દ્વારા સ્થાપિત થયું હતું. શ્રીલંકામાં બૌદ્ધ ઉપાસના, શિક્ષણ અને સાંસ્કૃતિક વિનિમયનું તે મુખ્ય કેન્દ્ર છે. આ પ્રદર્શન શ્રીલંકાના ભક્તો ઉપર ઊંડી અસર કરશે અને બંને દેશો વચ્ચેના સહભાગી બૌદ્ધ વારસાને વધુ મજબૂત કરશે.ભારતે તાજેતરના વર્ષોમાં થાઈલેન્ડ, મોંગોલિયા, વિયેતનામ, રશિયા અને ભૂતાન જેવા દેશોમાં બુદ્ધ અવશેષોનું પ્રદર્શન કરીને લાખો ભક્તોને આકર્ષ્યા છે. આ ઘટના ભારતની સોફ્ટ પાવર અને લોક-કેન્દ્રિત વિદેશ નીતિને આગળ વધારે છે, જે અહિંસા, કરુણા અને સહઅસ્તિત્વના બુદ્ધ ધર્મના સાર્વત્રિક સંદેશને પ્રસારિત કરે છે.