દિશા વાકાણી-પડિયાએ પુત્રને જન્મ આપ્યો; બીજું સંતાન છે

મુંબઈઃ હિન્દી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી દિશા વાકાણી-પડિયાએ પુત્રને જન્મ આપ્યો છે. આ તેનું અને એનાં પતિ મયૂર પડિયાનું બીજું સંતાન છે. 2017માં દિશાએ પ્રથમ સંતાનરૂપે દીકરીને જન્મ આપ્યો હતો. દિશાએ પુત્રને જન્મ આપ્યાના સમાચારને મયૂર પડિયા તથા દિશાનાં ભાઈ મયૂર વાકાણીએ સમર્થન આપ્યું છે.

દરમિયાન, એવા અહેવાલ છે કે દિશા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં પુનરાગમન કરશે. શોનાં નિર્માતા અસિત મોદીને દિશાનાં પુનરાગમન વિશે પૂછ્યું તો કહ્યું કે, ‘અમે તો શોમાં દયાબેનનો ટ્રેક પાછો લાવવાનું નક્કી કરી લીધું છે.’ શોમાં સુંદરલાલનું પાત્ર ભજવનાર મયૂર વાકાણીએ કહ્યું કે, ‘હું બીજી વાર મામો બન્યો એની મને ખુશી છે. આ શોમાં દિશા ચોક્કસ પાછી ફરશે. આ એક જ શો એવો છે જેમાં દિશાએ ઘણા વર્ષો સુધી કામ કર્યું છે. એ સેટ પર પાછી ફરે એની અમે સૌ રાહ જોઈ રહ્યાં છીએ.’