બીજો ગાલ આગળ કરવાથી ‘આઝાદી’ નહીં ‘ભીખ’ મળેઃ કંગના

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોતે એક નવો વિવાદ ઊભો કરતાં દાવો કર્યો હતો કે સુભાષચંદ્ર બોઝ અને ભગત સિંહને મહાત્મા ગાંધીજીથી કોઈ ટેકો સાંપડ્યો નહોતો. તેણે ગાંધીજીના અહિંસાના મંત્રની મજાક ઉડાડતાં કહ્યું હતું કે બીજો ગાલ આગળ કરવાથી ‘ભીખ’ મળે છે, પણ ‘આઝાદી’ નથી મળતી. રણોતે ગયા સપ્તાહે કહ્યું હતું કે 1947માં ભારતને આઝાદી નહીં, બલકે ભીખ મળી હતી. અસલી સ્વતંત્ર્યતા તો 2014માં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી ત્યારે મળી હતી.

કંગનાએ એ ન્યૂઝ શેર કર્યા હતા, જેમાં ગાંધી અન્ય નેતાજીને સોંપવા માટે રાજી હતી. એ સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગાંધી, જવાહરલાલ નેહરુ અને મોહમ્મદ અલી ઝીણાની બ્રિટિશ ન્યાયાધીશની સાથે સમજૂતી બની હતી કે બોઝ જો દેશમાં પ્રવેશશે તો તેઓ તેમને સોંપી દેશે. રણોતે ન્યૂઝપેપરના આ કટિંગની સાથે લખ્યું હતું કે તમે ગાંધીના પ્રશંસક છો અથવા નેતાના સમર્થક છો. તમે બંનેના એકસાથે સમર્થક ના હોઈ શકો… પસંદ કરો, નિર્ણય કરો.

રણોતે દાવો કર્યો હતો કે જે લોકોએ આઝાદી માટે લડાઈ લડી હતી- તેમને એવા લોકોએ પોતાના નેતાઓને સોંપી દીધા હતા, જેમની પાસે પોતાના સ્વાતંત્ર્યસેનાની માટે લડવાનું સાહસ નહોતું અથવા જેમનું લોહી નહોતું ઊકળી ઊઠતું, પણ તેઓ ચાલાક અને સત્તાલોલુપ હતા. ગાંધી ભગત સિંહને ફાંસી અપાય એમ ઇચ્છતા હતા, એમ કંગનાએ કહ્યું હતું.