‘જવાન 2’ આવશે? શાહરૂખે સંકેત આપ્યાની ઈન્ટરનેટ પર અટકળો

મુંબઈઃ અભિનેતા શાહરૂખ ખાન એની લેટેસ્ટ રિલીઝ થયેલી એક્શન-થ્રિલર હિન્દી ફિલ્મ ‘જવાન’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. ગઈ 7 સપ્ટેમ્બરે આ ફિલ્મ દેશભરમાં થિયેટરોમાં રિલીઝ થઈ છે ત્યારથી ઈન્ટરનેટ પર શાહરૂખના ચાહકો અભિપ્રાયો આપી રહ્યાં છે અને શાહરૂખ એમાંના ઘણાયને જવાબ પણ આપી રહ્યો છે. X (અગાઉના ટ્વિટર) પર પોતાના હેન્ડલ પર શાહરૂખ દેશના વિવિધ ભાગોમાંથી ચાહકો દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયો શેર કરી રહ્યો છે અને એમનો આભાર માની રહ્યો છે.

એમાંના એક પ્રશંસકે ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો છે અને શાહરૂખને સવાલ પૂછ્યો હતો કે, ફિલ્મમાં તેના પાત્રવાળો ‘આઝાદ’ ખલનાયક ‘કાલી’ (વિજય સેતુપતિ) સાથે કેમ કોઈ પતાવટ કરતો નથી અને એને મારી નાખે છે? આની સામે શાહરૂખે આપેલા જવાબને નેટયૂઝર્સ જવાનની સીક્વલ વિશેના મોટા સંકેત તરીકે ગણાવી રહ્યાં છે. ફિલ્મમાં, કાલીના અંત બાદ એસટીએફ ઓફિસર માધવન નાયક આઝાદ અને એની ટીમનાં સભ્યોને બીજી કામગીરી સોંપે છે અને એમને સ્વિટ્ઝરલેન્ડ જઈ સ્વિસ બેન્કોને ટાર્ગેટ કરવા કહે છે.

અજયપાલ સિંહ નામના પ્રશંસકે શાહરૂખને સવાલ પૂછ્યો હતોઃ ‘સર, તમે કાલી સાથે કોઈ પતાવટ કેમ ન કરી… હું વિજય સેતુપતિનો મોટો ચાહક છું…’ એના જવાબમાં શાહરૂખે લખ્યું છેઃ ‘હું પણ વિજય સરનો મોટો પ્રશંસક છું… કાલીનું કાળું ધન તો લઈ લીધું… હવે જુઓ સ્વિસ બેન્કોમાંથી બીજાંઓનું ધન લઈને પણ કેવો આવું છું… બસ વિઝા મળવાની રાહ જોઉં છું… હાહાહા…’

ફિલ્મમાં શાહરૂખ અને વિજય સેતુપતિ ઉપરાંત નયનતારા, સાન્યા મલ્હોત્રા અને પ્રિયામણી જેવા કલાકારો છે. શાહરૂખે પિતા-પુત્રનો ડબલ રોલ ભજવ્યો છે. દીપિકા પદુકોણે પણ એક નાનકડી ભૂમિકા ભજવી છે.