બાયોપિક ફિલ્મમાં સૌરવ ગાંગુલીનો રોલઃ રણબીર આઉટ, આયુષ્માન ઈન

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીના જીવન પર આધારિત ફિલ્મ બનાવાશે એવા અહેવાલો છેલ્લા કેટલાક વખતથી વાંચવા મળે છે. અગાઉ એવો અહેવાલ હતો કે ફિલ્મમાં ગાંગુલીનું પાત્ર રણબીર કપૂર ભજવશે, પરંતુ હવે એવું લાગે છે કે ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના આ હિરોની જગ્યાએ બીજાની પસંદગી કરવામાં આવી છે.

એવી અફવા છે કે ગાંગુલીના પાત્ર માટે આયુષ્માન ખુરાનાને કરારબદ્ધ કરવામાં આવ્યો છે. ‘અંધાધૂંધ’ ફિલ્મના હિરો આયુષ્માનને જ્યારે ‘પિન્કવિલા’ પોર્ટલ દ્વારા આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું, હાલને તબક્કે હું કંઈ કહી શકું એમ નથી. સમય આવ્યે અમે સત્તાવાર જાહેરાત કરીશું.’ આયુષ્માનના આ જવાબથી સ્પષ્ટ થાય છે કે એણે રોલ મેળવી લીધો છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતભાગમાં શરૂ થવાની ધારણા છે. આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ 2’ હાલમાં જ રિલીઝ થઈ હતી. અગાઉ એવો અહેવાલ હતો કે અંકુર ગર્ગ અને લવ રંજન નામના બે દિગ્દર્શક તથા નિર્માતાઓએ કોલકાતામાં સૌરવ ગાંગુલીને મળીને એમના જીવન પરથી એક હિન્દી ફિલ્મ બનાવવાનો વિચાર રજૂ કર્યો હતો. એ વિશે તેમની વચ્ચે વિગતવાર ચર્ચા પણ થઈ હતી. બંને દિગ્દર્શકે ગાંગુલીના જીવનને લગતી અનેક ઘટનાઓ રેકોર્ડ પણ કરી હતી. કહેવાય છે કે ફિલ્મની પટકથા લખાઈ ગઈ છે.