અનુપમ ખેરે ‘શિવ શાસ્ત્રી બલબોઆ’ ફિલ્મની ટિકિટો વેચી

મુંબઈઃ ચરિત્ર અભિનેતા અનુપમ ખેરની નવી હિન્દી ફિલ્મ ‘શિવ શાસ્ત્રી બલબોઆ’ ગયા શુક્રવારથી થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મનું પ્રચારકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

ફિલ્મમાં શિર્ષક ભૂમિકા ભજવનાર અનુપમ ખેર પ્રચારકાર્યમાં વ્યસ્ત છે. તેઓ મુંબઈમાં પીવીઆર માલિકીના થિયેટરોમાં ટિકિટબારી પર બેસીને દર્શકોને ટિકિટ વેચવાનું કામ કરતા જોવા મળ્યા હતા. અમુક દર્શકો સાથે તેઓ એમના મજાકિયા સ્વભાવ મુજબ વાતો પણ કરતા હતા. ફિલ્મમાં અનુપમ ખેરની સાથે નીના ગુપ્તા, જુગલ હંસરાજ, નરગીસ ફખરી જેવા અન્ય કલાકારો પણ છે. અનુપમ ખેર પોતે આ ફિલ્મના એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર પણ છે. ફિલ્મ નિવૃત્તિની ઉંમરે પહોંચેલા લોકોને લગતી છે. ફિલ્મ જણાવે છે કે નિવૃત્તિથી જીવનમાં પૂર્ણવિરામ નથી મૂકાતો. ઉંમરના કોઈ પણ તબક્કે નવી જિંદગીની શરૂઆત કરી શકાય છે.