ઊર્જા સુરક્ષા અને AIથી નક્કી થશે ભારતનું ભવિષ્યઃ ગૌતમ અદાણી

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ નવી દિલ્હીમાં યોજાયેલી કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ની વાર્ષિક બિઝનેસ સમિટ 2026ને સંબોધિત કરી હતી હતી. વૈશ્વિક અર્થતંત્ર હવે એવા નવા યુગમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં વ્યૂહાત્મક શક્તિ ઊર્જા અને ઇન્ટેલિજન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિકી હક પર આધારિત રહેશે, એમ તેમણે કહ્યું હતું. આ વર્ષના શિખર સંમેલનનો વિષય ધ ફ્યુચર- ગ્લોબલ ઇકોનોમી, ઇન્ડસ્ટ્રી, સોસાયટી છે. આ બે દિવસના કાર્યક્રમમાં વર્ષ 2047 સુધી ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના રોડમેપ પર ચર્ચા થશે.

તેમણે કહ્યું હતું કે ભારતની કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ક્રાંતિનો સાચો અર્થ ત્યારે સાબિત થશે જ્યારે તે માત્ર મોટા કોર્પોરેટ બોર્ડરૂમ્સ સુધી સીમિત ન રહી, પરંતુ સામાન્ય નાગરિકો, કામદારો, ખેડૂતો, નર્સો અને નાના વેપારીઓને સશક્ત બનાવશે. તેમણે જણાવ્યું હતું કે ભારતે એ માન્યતા નકારી દેવી જોઈએ કે AIનો મુખ્ય હેતુ નોકરીઓ ખતમ કરવાનો અને માનવીય શ્રમને બદલી નાખવાનો છે.

સેમિકન્ડક્ટર્સ હવે રાષ્ટ્રની વ્યૂહરચનાના સાધન બની ગયા છે. ડેટાને રાષ્ટ્રીય સંપત્તિ તરીકે જોવામાં આવી રહ્યા છે. ક્લાઉડ સિસ્ટમ્સને હથિયાર તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર્સની સુરક્ષિત દીવાલોની પાછળ તૈયાર થઈ રહી છે. જે દેશ પોતાની ઊર્જા પર નિયંત્રણ રાખે છે તે પોતાના ઔદ્યોગિક ભવિષ્યને શક્તિ આપશે. જે દેશ પોતાના કોમ્પ્યુટ પર નિયંત્રણ રાખે છે તે પોતાના બુદ્ધિશાળી ભવિષ્યને શક્તિ આપશે. અને જે દેશ બંને પર નિયંત્રણ રાખશે, તે આગામી સદીનું નેતૃત્વ કરશે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારત માટે તક અનોખી છે કારણ કે દેશ જે ઉત્પાદન કરી રહ્યો છે, તેની માગ પહેલેથી જ ઉપલબ્ધ છે — મેન્યુફેક્ચરિંગ, મોબિલિટી, લોજિસ્ટિક્સ, ડિજિટલ સેવાઓ અને ગ્રાહક બજારોમાં.

ભારત પહેલેથી જ 500 ગીગાવોટ (GW)થી વધુ સ્થાપિત વીજ ક્ષમતા પાર કરી ચૂક્યું છે અને વિવિધ ક્ષેત્રોમાં AI નો ઉપયોગ વધતા ઊર્જા તથા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિશાળ વિસ્તરણની જરૂર પડશે. તેમણે જણાવ્યું કે AIને માત્ર સોફ્ટવેર તરીકે નહીં, પરંતુ ઊર્જા, કોમ્પ્યુટ, નેટવર્ક્સ, ચિપ્સ, ડેટા સેન્ટર્સ, એપ્લિકેશન્સ અને ટેલેન્ટના સંપૂર્ણ આર્થિક માળખા તરીકે જોવું જોઈએ.

ભારતની લાંબા ગાળાની સ્પર્ધાત્મકતા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કેન્દ્રસ્થાનમાં રાખતા તેમણે અદાણી ગ્રુપના 100 અબજ ડોલરના એનર્જી ટ્રાંઝિશન અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણનો ઉલ્લેખ કર્યો હતો, તેમાં ગુજરાતના ખાવડામાં  30-GW રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ અને ભારતના સોવરિન કોમ્પ્યુટ ઇકોસિસ્ટમ માટે ગૂગલ તથા માઇક્રોસોફ્ટ સાથેની ભાગીદારીઓનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું હતું કે ભારતે એ માન્યતાને નકારવી જોઈએ કે AI અનિવાર્ય રીતે રોજગારી ખતમ કરે છે. તેને બદલે એવા AI સિસ્ટમ્સ વિકસાવવી જોઈએ જે ઉત્પાદનક્ષમતા વધારે, નવા ઉદ્યોગો ઊભા કરે અને ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવે.  તેમણે કહ્યું  હતું કે ભવિષ્ય આપમેળે આવતું નથી, તેને બનાવવું પડે છે.

તેમણે AI અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 100 અબજ ડોલર (આશરે રૂ. 8.4 લાખ કરોડ) ખર્ચવાની વાત પણ કરી હતી. તેમનું લક્ષ્ય ભારતને આવનારા સમયમાં વૈશ્વિક AI હબ બનાવવાનું છે.