ચૂંટણી દાવઃ CM નીતીશકુમારનું કર્મચારીઓના વેતનવધારાનું એલાન

પટનાઃ બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય દળોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ચૂંટણી ઝુંબેશ તેજ બનાવી છે. રાજ્યના CM નીતીશકુમારે પણ ચૂંટણી પહેલાં જનતાને ખુશ કરવા માટે સરકારી ખજાનો ખુલ્લો મૂકી દીધો છે. તેઓ એક પછી એક લોકલોભામણી જાહેરાતો કરી રહ્યા છે. જેમાં મફત વીજળી, મહિલાઓ માટે આરક્ષણ, યુવા પંચની રચના સહિત અનેક જાહેરાતો સામેલ છે. તેમણે શિક્ષણ વિભાગના અનેક કર્મચારીઓના માનદ્ વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું હતું કે નવેમ્બર, 2005માં સરકાર બન્યા પછીથી જ અમે શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. વર્ષ 2005માં શિક્ષણનું કુલ બજેટ રૂ. 4366 કરોડ હતું, જે હવે વધીને રૂ. 77,690 કરોડ થઈ ગયું છે. મોટી સંખ્યામાં શિક્ષકોની નિમણૂક, નવા શાળાભવનોનું નિર્માણ અને આધારભૂત માળખાનો વિકાસ થવાથી શિક્ષણ ક્ષેત્રે મોટો સુધારો થયો છે. શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે રસોઈયા, રાત્રિ પ્રહરીઓ અને શારીરિક શિક્ષણ તથા આરોગ્ય અનુરેખકોની મહત્વની ભૂમિકા રહી છે. આને ધ્યાનમાં રાખીને અમે આ કર્મચારીઓના માનદ્ વેતનમાં સન્માનજનક રીતે વધારો કરવાનો અને તેને બેવડું કરવાનો નિર્ણય લીધો છે.

શિક્ષણ વિભાગ હેઠળ મધ્યાહ્ન ભોજન યોજનામાં કામ કરતા રસોઈયાઓના માનદ્ વેતનમાં બે ગણો વધારો કરીને રૂ. 1650માંથી વધારીને રૂ. 3300 માસિક કરવાનો નિર્ણય લેવાયો છે. તે જ રીતે, માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કામ કરતા રાત્રિ પ્રહરીઓનું માનદ્ વેતન રૂ. 5000માંથી વધારીને હવે રૂ. 10,000 માસિક કરવામાં આવશે.

શારીરિક શિક્ષણ અને આરોગ્ય ઇન્સ્ટ્રક્ટરનો માનદ્ વેતનમાં રૂ. 8000થી વધારીને હવે રૂ. 16,000 માસિક કરવામાં આવશે. આ નિર્ણયથી કાર્યરત કર્મચારીઓમાં ઉત્સાહ વધશે અને તેઓ વધુ મનોબળ અને લગનથી પોતાના કાર્ય નિભાવી શકશે.