અમદાવાદઃ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાવાનું છે. અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું આજથી જ અમદાવાદમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે. કોંગ્રેસપ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ, શશિ થરૂર અને અશોક ગેહલોત સહિતના નેતાઓ આજે અમદાવાદ આવી પહોંચશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આઠ એપ્રિલની સવારે અમદાવાદ આવી પહોંચશે. બે દિવસ દરમિયાન યોજાનારા કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા આવી રહેલા 1800થી વધુ ડેલિગેટ્સના રહેવા માટે હોટેલ અને આવવા-જવા માટે વાહનોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
આ અધિવેશન 8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે શરૂ થશે, ત્યારબાદ 9 એપ્રિલના રોજ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકોની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે. આ ઉપરાંત, કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્ય મંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ પણ આ મહત્વપૂર્ણ બેઠકોમાં હાજર રહેશે.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 8 એપ્રિલે સવારે 11:30 વાગ્યે સરદાર પટેલ સ્મારકમાં યોજાશે, જેમાં દેશના પ્રદેશપ્રમુખ, વર્કિંગ કમિટીના સભ્યો, ધારાસભ્ય દળના નેતાઓ આવશે. સાંજે સાત વાગે અધિવેશન સ્થળ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ અધિવેશનની બેઠક 9 એપ્રિલે સવારે 9:30 વાગ્યે થશે. સૌપ્રથમ ફ્લેગ હોસ્ટિંગ થશે અને બાદમાં એજન્ડા પર ચર્ચા થશે. ઠરાવ પર ચર્ચા થશે. જે નેતાને વિષય પર અભિપ્રાય આપવો હોય તે ચિઠ્ઠી મોકલીને મોકલશે તો તેને તક આપવામાં આવશે.
