વક્ફ કાયદા અંગે કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદનું સ્ફોટક નિવેદન

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના સહારનપુરથી કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદનો એક વિડિયો વાયરલ થયો હતો. આ વિડિયોમાં ઈમરાન મસૂદ વક્ફ બિલ અંગે કહી રહ્યા છે કે જો મસ્જિદો નહીં હશે તો નમાજ ક્યાં અદા કરવામાં આવશે? જો કબ્રસ્તાન નહીં હશે તો મૃતદેહોને ક્યાં દફનાવવામાં આવશે?  ઈદગાહની વાત તો બાજુ પર જ રાખો, જો અમે સત્તામાં આવીશું તો વક્ફ બિલને એક જ કલાકમાં ઉખાડી ફેંકીશું.

આ વિડિયો વાઇરલ થતાં જ રાજકીય વિવાદ ઊભો થયો છે. હવે આ નિવેદન અને વિવાદ પર ઈમરાન મસૂદે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે મેં કોઈને ચેતવણી નથી આપી. અમારો વિરોધ ભાજપ વિરુદ્ધ છે, કોઈ સમુદાય વિરુદ્ધ નથી. મારું આખું નિવેદન સાંભળો. મેં કહ્યું છે કે જો અમે સત્તામાં આવીશું, તો અમે આ કાયદાને નકારી કાઢીશું.

તેમણે આગળ કહ્યું હતું કે ‘મેં મારા નિવેદનમાં એમ પણ કહ્યું છે કે હિંસા માટે દેશમાં કોઈ સ્થાન નથી અને મુર્શિદાબાદની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. અમે લોકશાહી, કાયદા અને બંધારણમાં માનનારા લોકો છીએ. આ વાઇરલ વિડિયો હૈદરાબાદનો હોવાનું કહેવાય છે, જ્યાં મસૂદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ મિલી કાઉન્સિલના કાર્યક્રમમાં સામેલ થયા હતા.

તેમણે સંબોધનમાં કહ્યું હતું કે આ લોકશાહી દેશ છે, રાજાશાહી નહીં. જે દિવસે અમે સત્તામાં આવીશું તે દિવસે વક્ફ બિલ કાયદાને એક કલાકમાં જ ઉખાડી ફેંકીશું. અમે એક જ કલાકમાં સારવાર કરવાનું જાણીએ છીએ.  મેં બંધારણના દાયરામાં રહીને વક્ફ કાયદાનો વિરોધ કરવાની હાકલ કરી હતી અને કહ્યું હતું કે  જ્યાં-જ્યાં આપણી સરકાર છે, જ્યાં-જ્યાં વિપક્ષ સત્તામાં છે ત્યાં આ કાયદો કોઈ પણ સંજોગોમાં લાગુ થવો ન જોઈએ.