અગ્નિકાંડ મુદ્દે ડિબેટની માંગણી કરતા, જીગ્નેશ મેવાણીની ગૃહમાંથી હકાલપટ્ટી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ રાજકોટ ટી.આર.પી. અગ્નિકાંડ, મોરબી કાંડ, હરણી બોટ કાંડ, તક્ષશિલા અગ્નિકાંડ સહિત જસદણની પીડિતા મુદ્દે ડિબેટ કરી તેને લાઇવ કરવાની વાત કરતાં હોબાળો થયો હતો. આ મુદ્દે જીગ્નેશ મેવાણી વેલમાં ધસી ગયા હતા. ત્યારબાદ અધ્યક્ષે જીગ્નેશ મેવાણીને કહ્યું હતું કે તમે બંધારણનું અપમાન કરવાનું બંધ કરો અને કાયદાનું પાલન કરો. ત્યારબાદ અધ્યક્ષે જીગ્નેશ મેવાણીને ગૃહમાંથી બહાર જતા રહેવાનો આદેશ કર્યો હતો. જેથી તેઓ ગૃહમાંથી વૉકઆઉટ કરી બહાર નીકળી ગયા હતા.

જીગ્નેશ મેવાણી મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ટી.આર.પી. ગેમઝોનના પીડિતોએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને 12 મુદ્દાનો એક આવેદન પત્ર આપી માંગણી કરી હતી કે સીબીઆઇ અથવા નોન-કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો.

આ જ બધાં મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવી. જેનો ગઈકાલે 14મો દિવસ હતો. મોરબીથી શરૂ થયેલી આ ન્યાય યાત્રા ગુરૂવારે અમદાવાદ ખાતે આવેલ કોંગ્રેસા મુખ્યાલય પર પહોંચી હતી. મોરબી બ્રિજ દુર્ઘટના, રાજકોટ અગ્નિકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને હરણી બોટકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટથી મોરબીથી ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી. જે આગામી દિવસોમાં ગાંધીનગર પહોંચવાની છે.