બિહાર વિધાનસભામાં ચૂંટણીમાં હાર પર કોંગ્રેસમાં બબાલ

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને થયેલી સજ્જડ હાર પછી પાર્ટી અંદર જ અવાજો ઊઠવા લાગ્યા છે. બિહાર કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું હતું કે અમારી તરફથી જ કેટલીક ગડબડીઓ થઈ છે. તેમણે કહ્યું હતું કે ટિકિટ વહેંચણીમાં થયેલા વિલંબે ચૂંટણી પરિણામોને અસર કરી છે. બિહાર ચૂંટણીમાં કોંગ્રેસને ફક્ત 6 બેઠકો પર જ જીત મળી છે. 2020ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 19 બેઠકો જીતી હતી.

અલ્લાવરુ–સંજય યાદવ જવાબદાર

અખિલેશે કહ્યું હતું કે બિહાર કોંગ્રેસના પ્રભારી કૃષ્ણા અલ્લાવરુ અને RJDના સંજય યાદવે પણ બાબતોને ખોટી દિશામાં લઈ ગયા અને તેમને આ હાર માટે જવાબદાર ઠેરવ્યા. અખિલેશે સવાલ કર્યો કે ‘ફ્રેન્ડલી ફાઈટ’ જેવી સ્થિતિ કેમ સર્જાઈ? તેમણે કહ્યું હતું કે તેના માટે અલ્લાવરુ અને સંજય જવાબદાર છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વરિષ્ઠ નેતાઓને બાજુએ ધકેલી અને બહારના લોકોને બિહાર કોંગ્રેસ જાણે કોન્ટ્રેક્ટમાં સોંપી દેવામાં આવી. તેમણે કહ્યું હતું કે આ પરિણામોની ગંભીર સમીક્ષા કરીને કડક પગલાં લેવાની જરૂર છે.

કોંગ્રેસને માત્ર 6 બેઠકો મળી

કોંગ્રેસે બિહાર ચૂંટણીમાં 60 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. પાર્ટીને ફક્ત છ બેઠકો પર જીત મળી છે. કોંગ્રેસે વાલ્મીકિનગર, ચનપટિયા, ફોર્બિસગન્જ, અરસિયા, કિશનગંજ અને મનિહારી બેઠકો પર જીત મેળવી છે. પાર્ટીને રાજ્યમાં કુલ 8.71 ટકા મત મળ્યા છે. 2020ની ચૂંટણીમાં કોંગ્રેસે 70 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા અને 19 બેઠકો જીતી હતી. એ સમય તેનું મત ટકાવારી 9.6 ટકા હતી.

આ હાર બાદ હવે કોંગ્રેસની અંદર અસંતોષ શરૂ થયો છે અને પાર્ટીના નેતાઓ હવે હારનાં કારણો ગણાવવાની શરૂઆત કરી રહ્યા છે.