ધોરણ 12નું પરિણામ જાહેર, જાણો કયા શહેરે મારી બાજી

રાજ્યના 12 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું છે. ગુજરાત બોર્ડ પ્રથમ વખત સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર કર્યું છે. આ સાથે ગુજ્જકેટનું પમ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પરિણામ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ચકાસી શકશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી બન્યો છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. બોડેલીમાં 47.98 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સામાન્યમાં પ્રવાહમાં 96.40 ટકા સાથે બોટાદે બાજી મારી છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ જુનાગઢમાં 84.81 ટકા આવ્યું છે. તો ગુજકેટની પરિક્ષામાં A ગ્રુપના 510 વિદ્યાને તો B ગ્રુપના 990 વદ્યાર્થીનો 99 ઉપરનો રેન્ક મળ્યો છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ ની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 1609 છે. તો બીજી બાજુ 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 19 છે. આ વર્ષે સામાન્ય પ્રવાહના ગેરરીતિના 238 કેસ નોંધાયા હતા. જ્યારે વિજ્ઞાન પ્રવાની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળા 127 છે. તો 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 27 છે. જ્યારે આ વર્ષ વિજ્ઞાન પ્રવાહમાં 18 ગેરરીતિના કેસ નોંધવામાં આવ્યા હતા.