સુરતના ઐતિહાસિક કિલ્લામાં સી.આર.પાટીલની હાજરીમાં યોગ દિનની ઉજવણી

સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સુરતના ચોક સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે સુરત મહાનગર પાલિકા આયોજિત ‘૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિન’ની ઉજવણી કરાઇ હતી. ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ પર આધારિત ઉજવણીમાં આશરે ૬૦૦ લોકોએ સામૂહિક યોગાભ્યાસ અને પ્રાણાયામ કર્યા હતા. સાથે જ સ્વસ્થ જીવન માટે નિયમિત યોગાભ્યાસ કરવા સૌ સામૂહિક રીતે સંકલ્પબદ્ધ થયા હતા.

આ અવસરે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ વિશ્વના ૧૭૬ દેશોમાં યોગનો પ્રચાર કર્યો છે. જેથી યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓળખ મળી છે. વધુમાં મંત્રીએ યોગને સ્વસ્થ જીવનનો મૂળમંત્ર ગણાવતા લોકોને નિયમિત યોગાભ્યાસ કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે સુરતના સાંસદ મુકેશ દલાલ, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ, શહેર પક્ષ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, શાસક પક્ષ નેતા શશિબેન ત્રિપાઠી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(અરવિંદ ગોંડલિયા – સુરત)