ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર નાગરિકતા છીનવી લેશેઃ CM મમતાનો આરોપ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું છે કે આવનારી ચૂંટણી પછી NRC અને જનગણનાને નામે લોકોની નાગરિકતા છીનવાઈ શકે છે, એમ તૃણમૂલ કોંગ્રેસના ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કરતી વખતે તેમણે આ દાવો કર્યો હતો. તેમણે એ પણ કહ્યું હતું કે રાજ્યમાં ચૂંટણી પહેલાં જ ‘અનૌપચારિક રાષ્ટ્રપતિ શાસન’ જેવી સ્થિતિ ઊભી કરવામાં આવી છે.

NRC અને જનગણના અંગે આરોપ

તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ચૂંટણી બાદ NRC અને જનગણના પ્રક્રિયા દ્વારા લોકોની નાગરિકતા સમાપ્ત કરવાની યોજના બનાવી રહી છે. તેમણે લોકોને આવા કોઈ પણ પ્રયાસ સામે સાવચેત રહેવાની અપીલ કરી હતી.

‘અનૌપચારિક રાષ્ટ્રપતિ શાસન’નો દાવો

મુખ્ય મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચની કાર્યવાહી કારણે રાજ્યમાં અસરકારક રીતે ‘અનૌપચારિક રાષ્ટ્રપતિ શાસન’ લાગુ થઈ ગયું છે. તેમના જણાવ્યા મુજબ ચૂંટણી પહેલાં રાજકીય માહોલને પ્રભાવિત કરવા માટે આ પગલાં લેવામાં આવ્યાં છે.

ચૂંટણી ષડયંત્રનો આરોપ

તૃણમૂલ પ્રમુખે દાવો કર્યો કે કેન્દ્ર સરકાર ચૂંટણી પંચ સાથે મળીને પરિસીમા (Delimitation) કરવાની યોજના બનાવી રહી છે, જેથી આવનારી ચૂંટણીમાં ભાજપને લાભ મળી શકે.

અધિકારીઓની બદલી મુદ્દે પ્રશ્ન

તેમણે આરોપ મૂક્યો હતો કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે રાજ્યના અધિકારીઓની બદલીના આદેશ આપી રહ્યો છે, જેથી ચૂંટણી પહેલાં અનુકૂળ પરિસ્થિતિ ઊભી થાય. તેમણે કહ્યું હતું કે આથી નાણાં અને હથિયારોની તસ્કરી વધવાની શક્યતા છે.

SIR અને નામ કાઢી નાખવાના મુદ્દા

મુખ્ય મંત્રીએ દાવો કર્યો હતો કે SIR પ્રક્રિયા દરમિયાન એક ખાસ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અંદાજે 60 લાખ કેસમાંથી 22 લાખનો નિકાલ થઈ ગયો છે અને લગભગ 10 લાખ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે, જેમની ફરી તપાસ કરવાની જરૂર છે.