PFમાંથી ઉપાડની રકમ ITRમાં દર્શાવવી આવશ્યક છે

નવી દિલ્હીઃ જો તમે નાણાકીય વર્ષ 2019-20 દરમ્યાન એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (EPFO)માંથી નાણાં ઉપાડ્યા હશે તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરતી વખતે એ ઉપાડની માહિતી આપવી જરૂરી છે. પછી ભલે એ ઉપાડવામાં આવેલી રકમ કરમુક્ત હોય કે નહીં. આમ તો એ રકમ કેટલીક શરતોને આધીન કરમુક્ત છે.

પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડની જાણ આમ ઇન્કમ ટેક્સ વિભાગને તો થઈ જ ગઈ હોય છે, કારણ કે રૂ. 50,000ના ઉપાડની રકમ પર રૂ. 10 ટકા TDS કપાઈ જાય છે, જો એ ઉપાડ સભ્ય બન્યાના પાંચ વર્ષ પહેલાં થઈ હોય તો. સરકારે કોવિડ-19 રોગચાળાને કારણે નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા EPFના સભ્યોને પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડની મંજૂરી આપી છે. જોકે તેમના જમા બેલેન્સના 75 ટકા રકમ અથવા ત્રણ મહિનાના બેઝિક પગાર પ્લસ મોંઘવારી ભથ્થાં- બેમાંથી જે ઓછી રકમ હોય એ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે.  

વળી, કોવિડ-19 રાહત હેઠળ કર્મચારીને ઉપાડેલી રકમને ટેક્સમાંથી છૂટ આપવામાં આવી છે, ભલે પછી કર્મચારીએ સરકારની ગાઇડલાઇન્સ મુજબ સર્વિસમાં પાંચ વર્ષ પૂરા ન કર્યા હોય. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઇન્કમ ટેક્સ રિટર્નમાં પીએફની ઉપાડની રકમ દર્શાવવી જરૂરી છે, કારણ કે ટેક્સ વિભાગ કરદાતાની આવકની આકારણી કરે છે અને એમાં વિસંગતિ ઊભી થાય છે. જેથી એ ઉપાડની રકમ દર્શાવવી જરૂરી છે. એના પર કોઈ દંડ નથી, કારણ કે એ આવક કરમુક્ત છે.