લિલામમાં માલ્યાની કંપનીના બે હેલિકોપ્ટરના મળ્યા રૂ. 8.75 કરોડ

બેંગલુરુ – ભાગેડૂ જાહેર કરાયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાની બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઈન્સના બે હેલિકોપ્ટરનું લિલામ કરવામાં આવ્યું છે અને એમાંથી રૂ. 8.75 કરોડની રકમ ઉપજી છે.

બેંગલુરુમાં આ હરાજી ઈલેક્ટ્રોનિક લેવલ પર યોજવામાં આવી હતી.

નવી દિલ્હીની ચૌધરી એવિએશન ફેસિલિટીઝ કંપનીએ આ હેલિકોપ્ટર ખરીદ્યા છે.

આ ઈ-ઓક્શન ડેટ રીકવરી ટ્રિબ્યુનલે યોજ્યું હતું.

ત્રણ વર્ષ જૂની ચૌધરી એવિએશન કંપની આ હેલિકોપ્ટરનો ઉપયોગ ચાર્ટર્ડ સેવા સહિત કમર્શિયલ હેતુ માટે કરવા માગે છે.

દેવામાં ડૂબેલી કિંગફિશર એરલાઈન્સ 2012ના ઓક્ટોબરમાં બંધ કરી દેવામાં આવી હતી.

માલ્યાને ભારતીય સત્તાવાળાઓએ વોન્ટેડ જાહેર કર્યો છે. માલ્યા પર આરોપ છે કે એની કિંગફિશર એરલાઈન્સે ભારતની 13 જેટલી બેન્કો પાસેથી રૂ. 9000 કરોડની લોન લીધી હતી, પણ એ ચૂકવ્યા વગર એ લંડન ભાગી ગયો છે.