પાકિસ્તાનથી ડુંગળી આયાત કરશે સરકાર?: ખેડૂતો ગુસ્સામાં

નવી દિલ્હી- સરકારી કંપની એમએમટીસી (મેટલ્સ એન્ડ મિનરલ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) લિમિટેડે પાકિસ્તાન, ઈજિપ્ત,ચીન,અફઘાનિસ્તાન અને અન્ય દેશો પાસેથી ડુંગળીની આયાત માટે ટેન્ડર મંગાવ્યા છે જેને લઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સ્વાભિમાની શેતકારી સંગઠનના અધ્યક્ષનું કહેવું છે કે, દેશમાં જ ખરીફ પાકની આગામી એક મહિનામાં કાપણી શરુ થઈ જશે તેવા સંજોગોમાં બહારના દેશોમાંથી ડુંગળીની આયાત કરીને દેશના ખેડૂતોને મોટું નુકસાન થશે. તેમણે સવાલો કર્યા કે, પાકિસ્તાનમાંથી આયાત શા માટે? શું ભારતના ખેડૂતો પાક. કરતા પણ મોટા દુશ્મન છે?

મહારાષ્ટ્રના લાસલગાંવમાં એપીએમસીના અધ્યક્ષ જયદત્તા હોલ્કરે કહ્યું કે, ડુંગળીના જેટલા જથ્થા માટે ટેન્ડર મગાવવામાં આવ્યા છે (2000 ટન, 2 ટકા આગળ પાછળ) એ વધારે નથી પરંતુ ખેડૂતોની ભાવનાઓને પ્રભાવિત જરૂર કરશે. જે ખેડૂતો રવી પાકનો સંગ્રહ કરતા હતાં તે હવે આ માલને વેંચવાની ઉતાવળ કરશે જેના કિંમતોમાં ઘટાડો થશે.