G-20 નિષ્ણાતોએ બેન્કિંગ ક્ષેત્રમાં સાયબર સુરક્ષા પર વિચારવિમર્શ કર્યો

મુંબઈઃ  ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ બેન્કિંગ ક્ષેત્ર માટે સાઇબર સિક્યોરિટી અભ્યાસ પર G20ની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ મુંબઈમાં આયોજિત કરવામાં આવી હતી. આ કોન્ફરન્સનો પ્રારંભ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ડેપ્યુટી ગવર્નર MK જૈનના મુખ્ય ભાષણની સાથે થઈ હતી, જેમના પછી  CERT-Inના ડિરેક્ટર જનરલ સંજય બહેલે કોન્ફરન્સને સંબોધિત કરી હતી.

RBIના ડેપ્યુટી ગવર્નરે ભાર દઈને જણાવ્યું હતું કે નાણાકીય સ્થિરતા માટે સાયબર જોખમોને સમજવા અને એને ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે. તેમણે સાયબર સુરક્ષાને મજબૂત કરવા માટે વૈશ્વિક સહયોગી પ્રયાસો પર ભાર મૂક્યો હતો. તેમણે આ માટે વૈશ્વિક સમુદાયોને છ ખાસ વ્યૂહાત્મક નીતિઓનું અનુસરણ કરવા માટે જણાવ્યું હતું.

જ્યારે CERT-Inના ડિરેક્ટર જનરલે સાયબર હુમલાનો સામનો કરવા માટે ત્રણ વૈશ્વિક પડકારો પર પ્રકાશ ફેંક્યો હતો અને વૈશ્વિક સમુદાયોને એકસાથે કામ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાયબર અભ્યાસ અને લાંબા સમય સુધી વ્યૂહાત્મક સંબંધો બનાવવા અને તૈયારીઓ માટે એકબીજાની શક્તિનો લાભ લેવા માટે મદદ કરવી જોઈએ.

આ કાર્યક્રમમાં વૈશ્વિક સ્તરે બેન્કો દ્વારા સામનો કરવો પડતી નવા યુગની સાયબર સુરક્ષાના પડકારો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં RBI, મૈતી, IMF,BIS, મધ્યસ્થ બેન્કો અને G20 સભ્ય દેશોની કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમોના 200થી વધુ સભ્યો, પસંદગીના કોમર્શિયલ અને શહેરી કોઓપરેટિવ બેન્કના MD, CEOઓ, ચીફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર્સ (CISO) અને ચીફ ટેક્નોલોજી ઓફિસર્સ (CTOs) અને વિદેશી બેન્કોએ ભાગ લીધો હતો.