રાહતના સમાચારઃ 1 એપ્રિલથી નહીં વધે વ્હીકલ ઈન્શ્યોરન્સના દરો…

નવી દિલ્હીઃ વ્હીકલ વાપરતા લોકો માટે રાહતના સમાચાર આવ્યાં છે. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે નવા નાણાકીય વર્ષમાં પણ બાઈક, કાર અથવા કોમર્શિયલ ગાડીઓના થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં કોઈ વધારો નહી કરવામાં આવે. એટલે કે એપ્રિલ મહિનાથી તમારી કારનું પ્રીમિયમ ઓછુ થઈ જશે. આવું એટલા માટે કે દર વર્ષે વીમા કંપનીઓ ડિપરિશિએશન કપાત કરે છે.

આપને જણાવી દઈએ કે એક દશકથી એપ્રીલ આસપાસ મોટર થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સના પ્રીમિયમમાં 10-40 ટકા સુધીનો વધારો કરવામાં આવતો હતો. જો કે ગત વર્ષે બાઈક, કાર અને ટેક્સીના પ્રીમિયમમાં 10-20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વર્ષે અપેક્ષા હતી કે ઈન્શ્યોરન્સ રેટમાં 20 થી 30 ટકાનો વધારો થશે પરંતુ એવું નથી કરવામાં આવ્યું.  

IRDAI એ કહ્યું કે 1 એપ્રીલ 2018 થી લાગુ કરવામાં આવ્યા પ્રીમિયમના દરો આ નાણાકીય વર્ષમાં પણ લાગુ થશે. બીજા શબ્દોમાં કહીએ તો જેટલા ચાર્જ આપી રહ્યા છો, આવતી નોટિસ સુધી તેટલા જ આપવાના રહેશે. 75 સીસીથી ઓછા એન્જિન વાળા ટૂ-વ્હીલર વાહનોના દરો પહેલાની જેમ 427 રુપિયા હશે. આ સીવાય 75 થી 150 સીસી સુધીના એન્જિન વાળા ટૂ-વ્હીલર વાહનોનું પ્રીમિયમ 720 રુપિયા હશે.

હાઈપાવર બાઈકના દરો પહેલાની જેમ 985 રુપિયા હશે. નાની કાર વાળા લોકોને 1,850 રુપિયા પ્રીમિયમ આપવું પડશે અને એસયૂવીનો ચાર્જ 7,890 રુપિયા હશે. ઓટો રિક્ષા અને ઈ-રિક્ષાનો રેટ ક્રમશઃ 2,595 અને 1,685 રુપિયા રહેશે. નાની ટેક્સિઓ માટે 5,437 રુપિયા અને મોટી કોમર્શિયલ કાર માટે 7,147 રુપિયા વાર્ષિક આપવાના રહેશે.