ભારતથી-ઢાકા વચ્ચે રેલવે સેવા ઠપ, ફ્લાઇટને પણ અસર

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ઘણી ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. કોલકત્તાથી ઢાકા અને ખુલના જતી ચાર પેસેન્જર ટ્રેન અને માલસામાન ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. આ હિંસા સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ માટે કરવામાં આવી છે.

અહેવાલ અનુસાર, 13109/13110 કોલકત્તા-ઢાકા-કોલકત્તા મૈત્રી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. 13129/13130 કોલકત્તા-ખુલના-કોલકત્તા બંધન એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી છે. 13131/13132 ઢાકા-ન્યુ જલપાઈગુડી-ઢાકા મિતાલી એક્સપ્રેસ ટ્રેન સેવાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે.  માલવાહક કામગીરી પણ બંધ કરી દેવામાં આવી છે. હાલમાં, ભારતીય રેલવે પાસે બાંગ્લાદેશમાં 168 લોડેડ વેગન અને 187 ખાલી વેગન છે. આ ઉપરાંત બાંગ્લાદેશ માટે 8 લોડેડ રેક ભારતમાં રોકવામાં આવ્યા છે.બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયાએ 5મી ઓગષ્ટને, સોમવારે ઢાકા આવતી-જતી તમામ ફ્લાઇટ્સ તાત્કાલિક સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. એર ઇન્ડિયાએ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘બાંગ્લાદેશમાં કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે તાત્કાલિક અસરથી ઢાકા અને ત્યાંથી અમારી ફ્લાઇટ્સનું નિર્ધારિત સંચાલન રદ કર્યું છે. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ.’