મને ફિલ્મ કરવામાં કે કમબેક કરવામાં કોઈ રસ નથી, આયેશાનો ટ્રોલર્સને વળતો જવાબ

મુંબઈ: બોલિવૂડની ‘ટાર્ઝન ગર્લ’ અને ‘વોન્ટેડ’ ફેમ આયેશા ટાકિયા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. જો કે, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેની પોસ્ટ્સ માટે સતત સમાચારમાં રહે છે, ખાસ કરીને તેના ટ્રાન્સફોર્મેશનને લઈને. છેલ્લા કેટલાક વર્ષોમાં આયેશા ટાકિયાના દેખાવમાં ઘણો બદલાવ આવ્યો છે. અભિનેત્રીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેના બે રીલ વીડિયો શેર કર્યા છે, જેમાં તે કાંજીવરમ સાડીમાં જોવા મળી રહી છે. આયેશાના ગળામાં હાર પણ છે. એક તરફ, ચાહકો તેના લુકના વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોમાં તેના પરિવર્તન પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે. જો કે, ચાહકો હજી પણ આયેશાની ક્યુટનેસ પર ફિદા છે અને તેને ‘ઇન્ડિયન બાર્બી ડોલ’ કહીને બોલાવે છે.

આયેશા ટાકિયા 38 વર્ષના છે. 2009 માં તેણીએ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતાં. આયેશાની છેલ્લી ફિલ્મ ‘મોડ’ 2011માં રિલીઝ થઈ હતી. ખેર હાલ તે પોતાના કામને લઈને નહીં પણ લુકને લઈ ચર્ચામાં છે. આયેશાએ ઈન્સ્ટાગ્રામ પર કાંજીવરમ સાડીમાં બે પોસ્ટ શેર કરી છે. હવે આના પર ચાહકો ભરપૂર કોમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું છે,’તમે સારા દેખાઈ રહ્યા છો. પરંતુ કુદરતી સૌંદર્ય હંમેશા પર્ફેક્ચ હોય છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘તે સુંદર છોકરી હવે ના મળી શકે.. આમ પણ ,.. ભગવાન તમારું ભલું કરે અને હસતા રહો.’

આયેશા ટાકિયાનો ટ્રાન્સફોર્મેશન લુક ગયા વર્ષે પણ ચર્ચામાં રહ્યો હતો. ત્યારબાદ ઘણા યુઝર્સે લખ્યું કે અભિનેત્રીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. આ વખતે પણ એવું જ થયું છે. અન્ય એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, ‘વોન્ટેડના સમયથી અમે તમારા પ્રશંસક છીએ. પરંતુ તમે પ્લાસ્ટિક સર્જરી દ્વારા તમારો દેખાવ ઘણો બગાડ્યો છે. જો કે, આયેશાની ક્યૂટનેસના વખાણ કરતી પણ કેટલીક કમેન્ટ છે. એક ચાહકે લખ્યું છે કે,’તમે એક સમયે બોલિવૂડની ક્વીન હતા. તને મારા બાળપણનો પ્રેમ હતા. તમે ભારતીય બાર્બી છો.’

આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આયેશા ટાકિયા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ત્યારબાદ તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા. તેના બદલાયેલા લુક પર કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કર્યા હતા. જોકે, તેના એક દિવસ બાદ જ આયેશાએ આવા ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી નોટ લખી છે. આમાં તેણે કહ્યું, ‘એવું લાગે છે કે દેશમાં કોઈની પાસે મારા લૂકને લઈને ટ્રોલ થવા સિવાય અન્ય કોઈ મહત્વનો મુદ્દો નથી… લોકો ચિંતિત છે કે મારે કેવું દેખાવું જોઈએ અને કેવું નહીં!’

આયેશાએ પોસ્ટમાં આગળ લખ્યું, ‘મારા વિશે ભૂલી જાવ. લોકો કહે છે તેમ મને કોઈ ફિલ્મ કરવામાં કે કમબેક કરવામાં રસ નથી. હું મારું જીવન ખુશીથી જીવી રહી છું.ક્યારેય લાઈમલાઈટમાં આવવા માંગતી નથી, મને કોઈ પ્રસિદ્ધિમાં રસ નથી, કોઈ ફિલ્મમાં દેખાવા માંગતી નથી. મહેરબાની કરીને નિઃસંકોચ, મારા વિશે બિલકુલ ચિંતા કરશો નહીં.’