16મા નાણાપંચના અધ્યક્ષ તરીકે ડૉ. અરવિંદ પનગઢીયા નિયુક્ત કરાયા

કેન્દ્ર સરકાર દ્વારા 16મા નાણાપંચની રચના કરવામાં આવી છે અને નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢીયાને આ 16મા નાણાપંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જેની જાણકારી નાણા મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરીને આપી છે. આ સાથે નાણા મંત્રાલયમાં સંયુક્ત સચિવ ઋત્વિક રંજનમ પાંડેને આ કમિશનના સચિવ બનાવવામાં આવ્યા છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ કમિશનના અન્ય સભ્યોના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ નવનિયુક્ત સભ્યોનો કાર્યકાળ 31 ઓક્ટોબર 2025 સુધી અથવા રિપોર્ટ સબમિટ થાય ત્યાં સુધી રહેશે. કમિશનએ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરની ચોખ્ખી આવકના વિતરણ અંગે ભલામણો કરે છે.

સત્તાવાર નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રપતિએ નીતિ આયોગના ભૂતપૂર્વ વાઇસ-ચેરમેન અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. અરવિંદ પનાગરિયાની અધ્યક્ષ તરીકે નિયુક્તિ સાથે નાણા પંચની રચના કરીને ખુશ છે. કમિશનના સભ્યોને અલગથી સૂચિત કરવામાં આવશે.”

આયોગ પોતાનો અહેવાલ પાંચ વર્ષના સમયગાળામાં રાષ્ટ્રપતિને સુપરત કરશે

આયોગ પાંચ વર્ષના સમયગાળા (2026-27 થી 2030-31) માટેનો તેનો અહેવાલ રાષ્ટ્રપતિને સુપરત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ગયા મહિને 16મા નાણાપંચના સંદર્ભની રૂપરેખા (TOR)ને મંજૂરી આપી હતી. જેને પગલે આ આયોગ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરના વિનિમય અને મહેસૂલ વૃદ્ધિના પગલાં સૂચવવા ઉપરાંત કમિશન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 હેઠળ રચાયેલા ભંડોળના સંદર્ભમાં આપત્તિ વ્યવસ્થાપન પહેલને ધિરાણ આપવા માટેની વર્તમાન વ્યવસ્થાઓની સમીક્ષા કરશે. નાણા પંચ એક બંધારણીય સંસ્થા છે જે કેન્દ્ર-રાજ્ય નાણાકીય સંબંધો અંગે સૂચનો આપે છે. એન.કે. સિંહના નેતૃત્વ હેઠળના અગાઉના 15મા નાણાપંચે ભલામણ કરી હતી કે, 2021-22 થી 2025-26ના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન રાજ્યોને કેન્દ્રના વિભાજ્ય ટેક્સ પૂલના 41 ટકા આપવામાં આવે, જે 14મા નાણા કમિશન દ્વારા ભલામણના સમાન સ્તરે છે.