કલમ 370: સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પાકિસ્તાનને લાગ્યા મરચાં

પાકિસ્તાને સોમવારે કહ્યું કે કલમ 370 પર ભારતીય સુપ્રીમ કોર્ટના નિર્ણયનું ‘કોઈ કાયદાકીય મૂલ્ય’ નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદો 5 ઓગસ્ટ, 2019ના ભારતના ‘એકપક્ષીય અને ગેરકાયદેસર પગલાં’ને માન્યતા આપતો નથી. સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના ઓગસ્ટ 2019ના નિર્ણયને સમર્થન આપ્યું હતું, જેણે અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપ્યો હતો.

પાકિસ્તાનના કાર્યવાહક વિદેશ પ્રધાન જલીલ અબ્બાસ જિલાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય કાયદો 5 ઓગસ્ટ, 2019 ના રોજ ભારત દ્વારા લેવામાં આવેલા એકપક્ષીય અને ગેરકાયદેસર પગલાંને માન્યતા આપતો નથી. ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા ન્યાયિક મંજૂરીનું કોઈ કાનૂની મૂલ્ય નથી. કાશ્મીરીઓને યુએન એસસીના સંબંધિત ઠરાવો અનુસાર સ્વ-નિર્ણયનો અધિકાર છે.

ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના પ્રમુખ શહેબાઝ શરીફે ભારતની સર્વોચ્ચ અદાલતના નિર્ણયની ટીકા કરી અને તેને ‘પક્ષપાતી નિર્ણય’ ગણાવ્યો. એપ્રિલ 2022 થી ઓગસ્ટ 2023 સુધી વડા પ્રધાન રહેલા શાહબાઝે કહ્યું, “ભારતની સર્વોચ્ચ અદાલતે યુએનના ઠરાવોની વિરુદ્ધ પોતાનો નિર્ણય આપીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. સુપ્રીમ કોર્ટે લાખો કાશ્મીરીઓના બલિદાન સાથે દગો કર્યો છે. તેમણે કહ્યું કે આ ‘પક્ષપાતી નિર્ણય’ કાશ્મીરની ‘સ્વતંત્રતા આંદોલનને વધુ મજબૂત કરશે. તેમણે કહ્યું કે, કાશ્મીરી સંઘર્ષમાં કોઈ કચાશ રાખવામાં આવશે નહીં. શાહબાઝે કહ્યું કે નવાઝ શરીફના નેતૃત્વમાં પીએમએલ-એન દરેક સ્તરે કાશ્મીરીઓના અધિકારો માટે અવાજ ઉઠાવશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો કાશ્મીર મુદ્દા અને પાકિસ્તાન તરફથી સીમાપાર આતંકવાદને લઈને ઘણીવાર તણાવપૂર્ણ રહ્યા છે. ભારતે કલમ 370 નાબૂદ કર્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ બગડ્યા, જ્યારે પાકિસ્તાને ભારતીય રાજદૂતને હાંકી કાઢ્યા અને વેપાર સંબંધોને ડાઉનગ્રેડ કર્યા. ભારતે વારંવાર કહ્યું છે કે કાશ્મીર એ આંતરિક મામલો છે અને એ પણ કહ્યું છે કે તે આતંકવાદ, હિંસા અને દુશ્મનાવટથી મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે સામાન્ય, મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છે છે.