વસંત પંચમી: આ છે અમદાવાદનું સરસ્વતી મંદિર

અમદાવાદ: મહા સુદ પાંચમના દિવસે ઉત્સવની જેમ ઉજવાતો તહેવાર એટલે વસંત પંચમી. ફેબ્રુઆરી મહિનો અને શિયાળાની ઋતુમાં વસંત પંચમી ઉજવાય‌‌. સરસ્વતી પૂજનના આ પવિત્ર દિવસે લગ્નો અને શુભ પ્રસંગો મોટી સંખ્યામાં થાય. આ સાથે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધાની મૂર્તિઓ અને મંદિરોને પણ સજાવી પૂજા અર્ચના કરવામાં આવે છે.કૃષ્ણ, શિવજી, હનુમાનજી સાથે અલગ અલગ શક્તિ સ્વરૂપ માતાજીના અનેક મંદિરોની સ્થાપના ગામે ગામ જોવા મળે. ઘણી શાળાઓના નામની આગળ પણ સરસ્વતી મંદિર લખાય છે. જ્યારે સરસ્વતી માતાના મંદિર આંગણીના વેઢે ગણાય એટલા જ છે.એમાંનું એક સરસ્વતી મંદિર અમદાવાદ શહેરના એન.આઈ.ડી. પાલડી નજીક આવેલું છે. આ મંદિરની સ્થાપના સંવત 2008 આસો સુદ પૂનમ શુક્રવારે શંકર મહારાજ ઉનાવાવાળાએ કરી. પાલડી નારાયણ નગર તરફ જતાં માર્ગ પર શ્રી શંકરાશ્રમ તરીકે જાણીતા શંકર મહારાજના આશ્રમમાં સરસ્વતી મંદિર આવેલું છે. શુભ કાર્યો સાથે સરસ્વતી પૂજનના આ દિવસથી જ વસંત ઋતુની શરૂઆત થાય છે. બુધ્ધિ, જ્ઞાન કલાની દેવી સરસ્વતી આ પંચમીએ પૂજાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ -અમદાવાદ)