મણિપુરમાં હિંસક ઘટના વચ્ચે સરકારે તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આપ્યા આદેશ

મણિપુરમાં હિંસક ઘટના વચ્ચે, સરકારે તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે પ્રશાસને આવા પગલા માત્ર આત્યંતિક કેસોમાં જ લેવા જોઈએ. મણિપુરમાં ઘણા દિવસોથી આદિવાસીઓ અને બહુમતી મીતેઈ સમુદાય વચ્ચે તણાવની સ્થિતિ છે. આ તણાવે બુધવારે રાત્રે હિંસાનું સ્વરૂપ લીધું હતું. આ પછી, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને આસામ રાઇફલ્સની ઘણી ટીમોને તાત્કાલિક રાતભર તૈનાત કરવામાં આવી હતી. હિંસાને કારણે 9,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બિન-આદિવાસી પ્રભુત્વ ધરાવતા ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ, થોબલ, જીરીબામ અને બિષ્ણુપુર જિલ્લાઓ અને આદિવાસી પ્રભુત્વ ધરાવતા ચુરાચંદપુર, કાંગપોકપી અને તેંગનોપલ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

શું છે મામલો?

મણિપુરના 53 ટકા જેટલો હિસ્સો ધરાવતા બિન-આદિવાસી મીતેઈ સમુદાય માટે અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની માંગ વિરુદ્ધ ચુરાચંદપુર જિલ્લાના તોરબાંગ વિસ્તારમાં ‘ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર’ (એટીએસયુએમ) દ્વારા ‘આદિજાતિ એકતા કૂચ’ બોલાવવામાં આવી હતી. દરમિયાન બુધવારે વસ્તી હિંસા ફાટી નીકળી હતી ગયા મહિને મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને મેઈતેઈ સમુદાયની એસટી દરજ્જાની માંગ પર ચાર અઠવાડિયામાં કેન્દ્રને ભલામણ મોકલવા કહ્યું તે પછી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.