CM ભૂપેન્દ્ર પટેલે ઇમ્પેક્ટ કાયદાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો

CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022 ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો એ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા જનહિતકારી અભિગમથી મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે હવે ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે.

આ ઉપરાંત, બિન અધિકૃત રહેણાંક માટે 2000 ચો. મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે 1000 ચો. મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે, અગાઉ ખુટતા પાર્કિંગના 50% જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કિંગની જોગવાઇ કરવી ફરજીયાત હતી, અને બાકીના 50% ખુટતા પાર્કિંગ માટે ગુજરાતમાં અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ના જાહેરનામાંથી પાર્કીંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઇ હતી.