સરકારે અમરનાથ યાત્રાનું શેડ્યૂલ ઘટાડ્યું, કેટલાં દિવસ કરાશે બાબા બર્ફાનીના દર્શન?

નવી દિલ્હી: આ વર્ષે અમરનાથ યાત્રાનો સમયગાળો ઘટાડવામાં આવ્યો છે. આ વખતે યાત્રા 3 જુલાઈથી શરૂ થશે 9 ઓગષ્ટ સુધી ચાલશે. એમ કુલ 38 દિવસ સુધી ચાલશે. ગયા વર્ષે અમરનાથ યાત્રા 52 દિવસ સુધી ચાલી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી, જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર યાત્રાધામની સુરક્ષા માટે એક મોટી સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી હતી. એક સુનિયોજિત યોજના બનાવી છે.સુરક્ષા માટે CRPF અને અન્ય અર્ધલશ્કરી દળોની કુલ 581 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીર પોલીસ પણ હાજર રહેશે. તમામ સુરક્ષા માર્ગોનું સુરક્ષા ઓડિટ અને ડિજિટલ મેપિંગ કરવામાં આવ્યું છે. CRPF DG પોતે પહેલગામ ગયા છે અને સુરક્ષાની સમીક્ષા કરી છે. દરેક યાત્રાળુ અને પોની સવાર માટે ડિજિટલ ઓળખ કાર્ડ બનાવવામાં આવશે.

યાત્રાના કાફલામાં જામર હશે જેથી IED વિસ્ફોટ જેવી ઘટનાઓને અટકાવી શકાય. ⁠સુરક્ષા કર્મચારીઓ પાસે સેટેલાઇટ ફોન હશે. ⁠યાત્રીઓ અને વાહનોમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) હશે. યાત્રામાં પોલીસ અને CRPFની અલગ-અલગ સમર્પિત PCR વાન હશે.ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ અટલ દુલ્લૂ, ડીજીપી નલિન પ્રભાત અને ગૃહ મંત્રાલય, સેના, અર્ધલશ્કરી દળો, જમ્મુ અને કાશ્મીર પોલીસ, નાગરિક વહીવટ અને કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશની ગુપ્તચર એજન્સીઓના અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્ર યાત્રાળુઓને તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે કોઈ કસર છોડશે નહીં. તેમણે ટ્વિટર પર પોસ્ટ કર્યું, “અમરનાથ યાત્રા માટે સમીક્ષા બેઠક યોજી અને યાત્રાળુઓ માટે સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું. અત્યંત સતર્કતા જાળવવા અને પવિત્ર યાત્રાનું સુગમ સંચાલન સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી.”

અમરનાથ યાત્રાનો સમયગાળો ઘટાડવાનો નિર્ણય પહેલગામ આતંકવાદી હુમલા પહેલા લેવામાં આવ્યો હતો. તેનો સુરક્ષા મુદ્દાઓ સાથે કોઈ લેવાદેવા નથી. યાત્રાની તારીખો હવામાનના આધારે નક્કી કરવામાં આવે છે.