ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા મા અંબાના દર્શને

પાલનપુર : ગુજરાત વિધાનસભાના બીજા ચરણની ચૂંટણી પાંચમી ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી. જેના બીજા દિવસે બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દર્શને પહોંચ્યા હતા.

પરિવાર સાથે અંબાજી આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું પંડિતો દ્વારા મંત્રોચ્ચાર કરીને માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અંબાજી મંદિરમાં મા અંબાની પૂજા- અર્ચના કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ અંબાજી મંદિર પરિસરમાં ભટ્ટજી મહારાજની ગાદીના દર્શને પણ પહોંચ્યા હતા.

જ્યાંથી ભટ્ટજી મહારાજે તેમને રક્ષા કવચ બાંધી હતી. ગુજરાતમાં બીજા તબક્કાના ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ બીજા દિવસે જ અંબાજી પહોંચેલા મુખ્યમંત્રી ભાજપના સ્થાનિક કાર્યકરોને પણ મળ્યા હતા અને તેમની સાથે ચર્ચા કરી હતી.