વડાપ્રધાન મોદીએ મતદાન સમયે રોડ-શો કર્યાનો કોંગ્રેસનો આરોપ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગઈકાલે બીજા તબક્કાનું મતદાન થઇ ગયુ છે. જેમાં વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. તેઓ મતદાન કરવા માટે ચાલીને ગયા હતાં. જ્યાં PM મોદીને જોવા લોકોની ભીડ જામી હતી. જેથી કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર રોડ-શોનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતાએ આ મુદ્દે ચૂંટણીપંચને ફરિયાદ કરી હતી.

પીએમ મોદી સામે કાર્યવાહી કરવામાં આવે

કોંગ્રેસ પાર્ટીના લૉ સેલના અધ્યક્ષ યોગેશ રવાણીએ આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ આપી હતી અને આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદીએ રોડ-શો કર્યો છે. જે આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે, આ મામલે કોંગ્રેસની માંગ છે કે પીએમ મોદી સામે કાર્યવાહી કરવામાં આવે. ચૂંટણી પંચે પણ આ ફરિયાદ લઈને આશ્વાસન આપ્યું હતું કે,આ મુદ્દા પર ધ્યાન આપવામાં આવશે.

આ રોડ-શો નહોતો વડાપ્રધાન મત આપવા જતા હતાં

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે કહ્યું હતું કે, આ રોડ-શો નહોતો વડાપ્રધાન મત આપવા જતા હતાં. ત્યારે ભીડ આપોઆપ ભેગી થઈ હતી. વડાપ્રધાન મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મત આપ્યો હતો. જોકે પીએમ મોદી વોટ આપવા જાય તે પહેલા જ પોલિંગ બૂથની આગળ હજારોની સંખ્યામાં ભીડ ભેગી થઈ ગઈ હતી. પીએમ મોદી પોલિંગ બૂથથી થોડે દૂર ગાડીમાંથી ઉતરી ગયા અને ચાલતા ચાલતા વોટ આપવા પહોંચ્યા હતા. રાણીપમાં હજારોની સંખ્યામાં ભીડને જોઈને વિપક્ષીઓ પાર્ટી લાલઘૂમ થઈ હતી અને ગઇકાલે આખો દિવસ પીએમ મોદી દ્વારા આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે તેવી ફરિયાદો કરવામાં આવી હતી.