પેપર લીક મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરાશેઃ PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જંતર-મંતર પર CJPના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા પ્રદર્શન અંગે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. તેમણે X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે દેશના યુવાનોનાં હિતો અને તેમનું ભવિષ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે જણાવ્યું હતું કે પેપર લીકના તમામ કેસોમાં દોષિતોને શક્ય તેટલી ઝડપથી આકરી સજા મળી રહે અને કેસોનો ત્વરિત નિકાલ થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટોની રચના કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ અંગે જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી દેવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનાં હિતોની સુરક્ષા માટે સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયોની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.

CJPએ કહ્યું, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી અહીં જ રહીશું

વડા પ્રધાન મોદીના નિવેદન પર CJP તરફથી કહેવામાં આવ્યું કે તેઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી જંતર-મંતર પર જ રહેશે. CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું કે જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમણે કહ્યું કે અહીં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ અને દૃઢ નિશ્ચય સાથે હાજર છે અને દરેક વ્યક્તિ તેમના રાજીનામાની માગ કરી રહી છે. પરંતુ જેમ-જેમ દિવસો પસાર થઈ રહ્યા છે, તેમ-તેમ લોકોનો ગુસ્સો વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે વધતો જઈ રહ્યો છે. જેપી નડ્ડાએ સમાજવાદી પાર્ટી સહિત અન્ય વિરોધ પક્ષોની સરકારોના સમયમાં થયેલા પેપર લીકના કેસોનો ઉલ્લેખ કર્યો હતો.