ભાવનગરની સૂરીલી સાંજે 27 વર્ષ પૂર્ણ કર્યા

ભાવનગર: સંગીત પ્રેમીઓની સાંજ સૂરીલી કરનાર સૂરીલી સાંજ કાર્યક્રમે પોતાની સંગીતમય સફરના 27 વર્ષ પૂર્ણ કર્યા છે. આ એક માત્ર એવો કાર્યક્રમ છે જે પ્રત્યેક મહિને વિનામૂલ્યે યોજાય છે અને તેની નોંધ નેશનલ લીમકા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ લેવામાં આવી છે.સ્વર્ગસ્થ રાજેશભાઈ વૈષ્ણવ દ્વારા શરૂ કરવામાં આવેલ આ ‘સૂરીલી સાંજ’ કલા અને સાંસ્કૃતિક નગરી ભાવનગરની એક ઓળખ બની ગઈ છે. સ્વામિનારાયણ ગુરુકુળ સરદાનગરના સહયોગથી યોજાતો આ કાર્યક્રમે કોરોના કાળ દરમિયાન પણ સોશિયલ મીડિયા પર ઓનલાઇન માધ્યમથી યોજાયો હતો અને પોતાનું સાતત્ય જાળવી રાખ્યું હતું.કોરોનાના સમય દરમિયાન રાજેશભાઈ વૈષ્ણવ અને માધુરીબેન વૈષ્ણવે વિદાય લીધી તે પછી પણ તેમના પુત્ર હિરેન વૈષ્ણવે આ સાંજનો સૂર તૂટવા દીધો નથી.‌ એક જૂનને રવિવારે 325મા કાર્યક્રમ સાથે ભાવનગરના આ અનોખા ઉપક્રમનો 28મા વર્ષમાં પ્રવેશ થયો. આ પ્રસંગે શહેરના ઉદ્યોગપતિ કલા પ્રોત્સાહક નિશીથભાઈ મહેતા, મનુભાઈ દીક્ષિત ધીરેનભાઈ વૈષ્ણવ જયેશભાઈ દવે સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સૂરીલી સાંજની આ યાત્રા અંગે કાર્યક્રમના સંચાલક મિતુલ રાવળ હિરેન વૈષ્ણવને પ્રશ્ન પૂછતા તેમણે ભાવવિભોર થઈ જણાવ્યું હતું કે, આ તો રામ રથ છે. મારા પિતાએ શરૂ કરી આ યાત્રા અવિરત ચાલુ રાખી શક્યો તેનો આનંદ છે. કલાકારો આવતા જતા રહે સાંભળનારા પણ બદલાતા રહે પરંતુ દર મહિને એક સાંજ સૂરીલી કરવાનો આ ઉપક્રમ જાળવી રાખવામાં હું સફળ રહ્યો તેનો મને આનંદ છે.

(જયેશ દવે-ભાવનગર)