કલાયું કૂતરું મોં ચાટે

 

કલાયું કૂતરું મોં ચાટે…

 

કોઈપણ વ્યક્તિને લાગણી કે પ્રેમ એની પાત્રતા જોઈને આપવો જોઈએ. આવું ન કરીએ તો આવી વ્યક્તિ ક્યારેક જાહેરમાં જ એવું વર્તન કરે છે કે જેનાથી વિમાસણ અથવા નીચું જોવું પડે તેવી પરિસ્થિતી ઊભી થાય છે. પાળેલું કૂતરું પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે ક્યારેક માલિકના પગમાં આળોટે છે, ક્યારેક જોર જોરથી પૂંછડી પટપટાવે છે અને ક્યારેક એ બે પગ માલિકના શરીર ઉપર ટેકવીને ઊભું થઈ એનું મોં ચાટવાની પણ ચેષ્ટા કરે છે.

એની આ ચેષ્ટા પાછળ ભાવ પ્રેમનો છે. પણ આ કહેવત પ્રેમની કસમયની અને ખોટી રીતની અભિવ્યક્તિની રીતરસમ એક શિસ્ત તરીકે ન ચાલે તે ઉજાગર કરવા પડી હશે. તાલીમ ન હોય એટલે કે પાત્રતા ન હોય ત્યારે વધારે પડતું વહાલ કદાચ આવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. એટલે કહેવાયું છે “કલાયું કૂતરું મોં ચાટે”.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)