વારાણસીમાં વિશ્વસ્તરીય કન્વેન્શન સેન્ટર ‘રુદ્રાક્ષ’નું ઉદઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 જુલાઈ, ગુરુવારે એમના સંસદીય મતવિસ્તાર વારાણસી જઈને ઈન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ કન્વેન્શન સેન્ટર – રુદ્રાક્ષનું લોકાર્પણ કર્યું હતું. વારાણસીના પોશ કહેવાતા સિગ્રા વિસ્તારમાં 2.87 હેક્ટર જમીનના પ્લોટ પર આ સેન્ટર બાંધવામાં આવ્યું છે અને તે ભારત અને જાપાન વચ્ચેની મિત્રતાનું પ્રતીક છે. વડા પ્રધાને પોતાના સંબોધનમાં આ કન્વેન્શન સેન્ટરને જાપાનની સહાયતા સાથે બનાવેલા રચનાત્મક અને ડાઈનેમિક માળખા તરીકે ઓળખાવ્યું હતું.

જાપાનના વડા પ્રધાન સુગા યોશિહીદેએ કાર્યક્રમ માટે વર્ચ્યુઅલ સંદેશ મોકલ્યો હતો. બે-માળવાળું આ સેન્ટર 1,200 દર્શકોની ક્ષમતા ધરાવે છે. તેમાં એક ગેલરી, મીટિંગ રૂમ્સ છે, તેમજ 120 કારને પાર્ક કરવાની વ્યવસ્થા છે. આ સેન્ટરને શિવ લિંગ જેવા આકારમાં બનાવવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય પરિષદો, પ્રદર્શનો, સેમિનાર, સંમેલનો, સંગીત મહેફિલ વગેરે જેવા કાર્યક્રમો યોજવા માટે આ સેન્ટર આદર્શ છે. ગેલેરીને વારાણસીની કળા, સંસ્કૃતિ અને સંગીત દર્શાવતા ભીંતચિત્રોથી સુશોભિત કરવામાં આવી છે.