ભારતમાં આતંકવાદી હુમલો થાય ત્યારે મોટા ભાગે જૈશે મોહમ્મદનું નામ આવે છે. જૈશે મોહમ્મદ નામની ત્રાસવાદી ટોળકી બનાવનારો છે મસૂદ – મૌલાના મસૂદ અઝહર. ડિસેમ્બર 2001માં સંસદ પર હુમલો, સપ્ટેમ્બર 2016માં પઠાણકોટમાં અને ઉરીમાં હુમલો અને આ વખતે પુલવામામાં હુમલો, જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયા. આ દરેક હુમલા પાછળ જૈશે પેદા કરેલા ત્રાસવાદીઓનો હાથ હતો. બીજા નાના મોટા હુમલા કાશ્મીરમાં થતા રહ્યાં છે તે જુદા.

કાશ્મીરના નેતા ફારૂક અબ્દુલ્લાએ પણ ત્યારે ચેતવણી આપી હતી કે મૌલાના મસૂદ અને બીજા ત્રણ ત્રાસવાદીઓને છોડશો નહિ. 178 મુસાફરોના જીવ અગત્યના હતા, પણ થોડી વધારે સાવધાની સાથે કામ લેવાયું હોત તો કદાચ બધા મુસાફરોનો ભોગ ના પણ લેવાયો હોત. થોડા મુસાફરોના ભોગે અપહરણ નિષ્ફળ બનાવી શકાયું હોત અને મસૂદને પાકિસ્તાન જઈને જૈશે મોહમ્મદ ઊભી કરવાની તક ના મળી હોત.
ભારત દાયકાઓથી ત્રાસવાદનો સામનો કરતું આવ્યું છે, પણ તેની સામે કેવી રીતે કાર્યવાહી કરવી તેની ચોક્કસ રીત કેળવી શકાય નથી તે હકીકત છે. ઇઝરાયલને યાદ કરીને પ્રજા એટલે જ અફસોસ વ્યક્ત કરે છે. ઇઝરાયલે પોતાનું વિમાન કેવી રીતે અપહરણ કરનારાઓ પાસેથી છોડાવ્યું હતું તેની દાસ્તાન જગપ્રસિદ્ધ છે. એવી દાસ્તાન લખવાની તક ભારતે ગુમાવી હતી તેનો અફસોસ 20 વર્ષ પછી વધારે અકળાવનારો છે.
24 ડિસેમ્બર 1999ના રોજ ઇન્ડિયન એરલાઇન્સનું એરબસ 300 વિમાન કાઠમંડુથી ઉપડ્યું. ફ્લાઇટ હતી આઇસી-814. કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાને પાંચ પાકિસ્તાની ત્રાસવાદીઓ ભેદી શકવામાં સફળ થયા હતા. વિમાનમાં સવાર આ પાંચ પાકિસ્તાનીઓએ અડધા કલાક પછી વિમાનનો કબજો લઈ લીધો. પાઇલટ કેપ્ટન દેવી શરણને વિમાન દિલ્હીના બદલે લાહોર લઈ જવાનો આદેશ અપાયો.વિમાન લાહોર તરફ આગળ વધવા લાગ્યું, પણ લાહોરમાં ઉતરાણ માટે મંજૂરી અપાઇ નહિ. કેપ્ટને જણાવ્યું કે બહુ દૂર જઈ શકાય તેવી સ્થિતિ નથી. વિમાનમાં બળતણ ઓછું છે અને નજીકમાં આવેલા અમૃતસર એરપોર્ટ પર ઉતરાણ કરવું જરૂરી છે. હવામાં જોખમ વચ્ચે ઊડી રહેલા કેપ્ટનની સમજદારીનો લાભ જમીન પર રહેલા ભારતીય સુરક્ષા નિષ્ણાતો લઈ શક્યા નહોતા. વિમાનનું અપહરણ થયું અને લાહોર સુધીનું ચક્કર મારીને અમૃતસર આવવા લાગ્યું ત્યાં સુધીમાં વિચારી લેવાની તક મળી હતી, પણ તેવી કોઇ ત્વરા દાખવાઈ નહોતી.


અહીં પણ કોઈક કારણસર ભૂલ થઈ. ટેન્કર આગળ તો વધ્યું પણ ડ્રાઇવરે અચાનક વચ્ચે તેને થોડીવાર અટકાવી દીધું. ત્રાસવાદીઓને કશીક શંકા જાગી એટલે તેમણે કેપ્ટનને ફરીથી વિમાન ઉડાવવાની ફરજ પાડી. વધારાનું ફ્યુઅલ ભર્યા વિના જ વિમાન ફરીથી ભારતની સરહદની બહાર જતું રહ્યું. ટેન્કર આડે આવ્યું હતું ખરું, પણ એવી રીતે નહિ કે વિમાનને અટકાવી શકે. વિમાન તેની સાથે ટકરાતા ટકરાતા રહી ગયું હતું અને ટેક ઓફ્ફ કરી શક્યું હતું. આટલો સમય વીત્યો પણ હજીય દિલ્હીમાંથી એનએસજીની ટીમ રવાના થઈ નહોતી. બાદમાં તેના માટે બહાનાબાજી ચાલી હતી. હેલિકોપ્ટર તરત મળ્યું નહિ, ભારે ટ્રાફિકના કારણે ટીમના સભ્યો ઝડપથી ભેગા થઈ શક્યા નહિ વગેરે.
પૂરતું ફ્યુઅલ ના હોવા છતાં વિમાન હવે ઉપડ્યું તેના કારણે જોખમ ઉલટાનું વધ્યું હતું. ભારતે હવે સામે ચાલીને પાકિસ્તાનને વિનંતી કરવી પડે કે વિમાનને લાહોરમાં લેન્ડ થવા દેજો. સાથે જ એવી વિનંતી કરી હતી કે લાહોરમાં ઉતરાણ પછી વિમાનને અટકાવી રાખજો. પણ અમૃતસરમાં ભારત જે ના કરી શક્યું તે પાકિસ્તાન શા માટે કરે? પાકિસ્તાની સત્તાવાળાઓએ એવા કોઈ પ્રયાસો કર્યા નહોતા. ઉલટાનું બળતણ ભરી આપ્યું અને વિમાનને પોતાની ધરતી પરથી ઊડી જવા દીધું.

થોડા જ સમયમાં સ્પષ્ટ થઈ ગયું કે તાલીબાનો ભારતીય કમાન્ડોને એવી કોઈ કામગીરી નહી કરવા દે.આ તરફ ભારતમાં મુસાફરોને બચાવી લેવા માટે ભાવનાત્મક દબાણ ભારત સરકાર પર વધવા લાગ્યું હતું. ત્રાસવાદીઓની માગણી પણ હવે સ્પષ્ટ થઈ ગઈ હતી. મૌલાના મસૂદ સહિતના 36 જેટલા જેહાદી ત્રાસવાદીઓને છોડી મૂકવાની માગણી હતી. કરોડો રૂપિયાની ખંડણી પણ ખરી. તાલીબાનની મધ્યસ્થી સાથે ત્રાસવાદીઓ સાથે વાતચીત ચાલતી રહી અને દેશમાં વાતાવરણ તંગ થવા લાગ્યું હતું. મુસાફરોના જીવ બચાવવાની માનવતા ખાતર માગણીઓ સ્વીકારવાનું દબાણ હતું, પણ કેટલાક નેતાઓ હજીય ત્રાસવાદીઓને તાબે ના થવું જોઈએ તેમ માનતા હતા.
કાશ્મીરના મુખ્ય પ્રધાન તરીકે ત્યારે ફારૂક અબ્દુલ્લા હતા. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ભૂલ ના કરશો. ત્રાસવાદીઓને છોડી મૂકશો તો ભવિષ્યમાં દેશને ભારે પડશે. તેમની ચેતવણી 20 વર્ષ પછી સાબિત થઈ રહી છે. પાકિસ્તાની મૌલાનાની સાથે કાશ્મીરી મુસ્તાક ઝરગરને પણ છોડી મૂકવાનો હતો. અબ્દુલ્લાએ ઝરગરને છોડવાનો વધારે વિરોધ કર્યો હતો. આ હત્યારાને હું કાશ્મીરની જેલમાંથી બહાર નહી આવવા દઉં તેવી જીદ અબ્દુલ્લાએ પકડી હતી.

અમૃતસરમાં સમયસર કામગીરી કરવામાં નિષ્ફળ ગયેલી સરકાર પાસે હવે વિકલ્પો ખૂટવા લાગ્યા હતા. દેશભરમાં પ્રવાસીઓના કુટુંબીજનોનું દબાણ વધી રહ્યું હતું. મૌલાના મસૂદ, ઝરગર અને પત્રકાર ડેનિયર પર્લની હત્યા કરનારા અહમદ ઓમર સઈદ શેખને પણ ભારતે છોડી મૂકવો પડ્યો. ભાજપના નેતા જશવંત સિંહ પોતે કંદહાર ગયા, મૌલાના મસૂદને સોંપ્યો અને સામે ભારતીય મુસાફરોને સલામત પાછા લાવ્યા. મુસાફરોને સલામત પરત લાવવા માટે પોતે કંદહાર સુધી ગયા હતા તેવો ખુલાસો તેમણે કરેલો, પણ જીવનભર તેમણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

કાઠમંડુ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં ગાબડું હતું. ત્રાસવાદીઓ વિમાનમાં ચડી શક્યા હતા. તે વાત સાચી, પણ અપહરણ થયું છે તેની જાણ થયા પછી જે ઝડપથી કામગીરી થવી જોઈતી હતી તે થઈ નહોતી. વિમાન અમૃતસર લેન્ડ થયું તે સૌથી મોટી તક હતી. કોઈ પણ ભોગે તેને અટકાવવું જરૂરી હતું. દિલ્હીથી કમાન્ડોની ટીમ મોકલવામાં વિલંબ થયો. તેના કદાચ વાજબી કારણો હશે, પણ અમૃતસરમાં ઉપલબ્ધ પોલીસ કે નજીકમાં ઉપલબ્ધ અન્ય સુરક્ષા નિષ્ણાતોનો કશોક ઉપયોગ થઈ શક્યો હોત. અમૃતસરમાં વિમાન ઊભું હતું ત્યારે જ વાટાઘાટો શરૂ કરીને સરકાર માગણીઓ સ્વીકારી રહી છે તેવો દેખાવ કરી શકાયો હોત. 1999 સુધીમાં ભારતે કાશ્મીર ઉપરાંત દેશના અનેક ભાગોમાં ત્રાસવાદી હુમલા જોયા હતા. ઈશાન ભારતમાં ભાંગફોડ જોઈ હતી. દુનિયામાં કેવી રીતે વિમાનોના અપહરણ થાય છે અને તેમાં શું કરી શકાય છે તે જોયું હતું. થોડો બોધપાઠ તેમાંથી લેવાયો હોત તો કશીક તૈયારી દેખાઈ હોત. અફસોસ એ વાતનો પણ છે કે બીજા 20 વર્ષ ગયા પછી અને બીજા કૂડીબંધ હુમલાઓ પછી સલામતી તંત્રે શું બોધપાઠ લીધો તેવા સવાલો પૂછવા પડે છે? –