ઘઉંના લોટનો ઉપમા

પૌષ્ટિક અને ત્વરિત બનતો ઘઉંના લોટનો ઉપમા એ વિદર્ભની વાનગી છે. બનાવી જુઓ!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 2 વાટકી
  • તેલ 1 વાટકી
  • કળી પત્તાના પાન 8-10
  • આમલીનો પલ્પ અથવા દહીં 3 ટે.સ્પૂન
  • લીલા મરચાં 2-3
  • રાઈ ½ ટી.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • શીંગદાણા 2 ટે.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • સાકર 1 ટી.સ્પૂન

રીતઃ એક વાસણમાં 3 કપ પાણી મધ્યમ આંચે ગરમ કરી રાખો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં શીંગદાણા તળીને એક ડીશમાં કાઢી લેવા. એ જ તેલમાં રાઈનો વઘાર કરી, રાઈ તતડે એટલે જીરૂ વઘારીને લીમડો તેમજ સમારેલાં લીલા મરચાં ઉમેરવા. હવે ગેસ ધીમો કરીને હીંગ, લાલ મરચાં પાઉડર, હળદર મેળવીને તરત જ ઘઉંનો લોટ ઉમેરીને તવેથા વડે મેળવીને 2 મિનિટ સુધી શેકી લો.

હવે તેમાં સાકર તથા મીઠું સ્વાદ મુજબ મેળવીને આમલીનો પલ્પ અથવા દહીં નાખીને તવેથા વડે સરખું મિક્સ કરીને અડધી કોથમીર મેળવી દો.  2 મિનિટ ધીમા તાપે શેકી લીધા બાદ તેમાં ગરમ પાણી 1 કપ મેળવો અને કઢાઈ ઢાંકીને 2-3 મિનિટ થવા દો. ફરીથી તેમાં 1-2 કપ પાણી મેળવીને ઢાંકીને 2-3 મિનિટ બાદ તેમાં તળેલા શીંગદાણા તેમજ બાકી રહેલી કોથમીર મેળવીને ગેસ બંધ કરીને દો. 1-2 મિનટ બાદ આ ઉપમા દહીં તેમજ કેરીના અથાણાં સાથે પીરસો.