નવી દિલ્હીઃ કેન્દ્રીયપ્રધાન રામદાસ અઠાવલેએ એક નિવેદન આપતા જણાવ્યું છે કે તમામ નાગરિકોના ખાતામાં 15 લાખ રુપિયા ધીરેધીરે આવશે એકઝાટકે જ નહીં. તેમણે જણાવ્યું કે અમે આરબીઆઈ પાસેથી પૈસા માગ્યા છે પરંતુ તેઓ આપી રહ્યાં નથી. ટેક્નિકલ ક્ષતિઓના કારણે પૈસા એકત્ર કરવામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે.
આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના તમામ નાગરિકોના ખાતામાં 15-15 લાખ રુપિયા નાખવાના વાયદા પર વિપક્ષ સતત પ્રહારો કરતું આવ્યું છે. ગત દિવસોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપી પર આકરા કટાક્ષ કરતા દેશની જનતાને આપેલા વચનો યાદ અપાવ્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે તમે દેશની જનતાને વચન આપ્યું હતું કે પ્રત્યેક વ્યક્તિના ખાતામાં 15 લાખ રુપિયા જમા થશે પરંતુ તે હજી સુધી થયા નથી.
બીજુ વચન હતું દેશના યુવાનો માટે 2 કરોડ પ્રતિવર્ષ રોજગારી આપવાનું પરંતુ સત્ય એ છે કે માત્ર 4 લાખ લોકોને નોકરી આપવામાં આવી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન જ્યારે પોતાનું ભાષણ આપે છે તો યુવાનોને ક્યારેક કહે છે કે પકોડા બનાવો તો ક્યારેક કહે છે કે દુકાન ખોલી લો. આ દરમિયાન ખેડુતોના મુદ્દા પર બોલતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે ખેડુતોનો અવાજ આ લોકોને સંભળાતો નથી.
રાહુલ ગાંધીએ ખેડૂતોની દેવામાફી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ખેડૂતોની દેવા માફી માટે અમે કેન્દ્ર સરકાર પર દબાણ કરીશું. જ્યાં સુધી ખેડૂતોનું દેવું માફ ન કરવામાં આવે ત્યાં સુધી અમે વડાપ્રધાન મોદીને બેસવા પણ નહી દઈએ અને સૂવા પણ નહી દઈએ.