બે દિવસ બંધ રહ્યા બાદ પહેલગામ માર્ગથી અમરનાથ યાત્રા ફરી શરુ કરાઈ

શ્રીનગર- ભૂસ્ખલનની ઘટનાઓને કારણે બે દિવસ બંધ રહ્યા બાદ પહેલગામ માર્ગ પરથી અમરનાથ યાત્રા ફરી એકવાર શરુ કરી દેવામાં આવી છે. જ્યારે બાલતાલ માર્ગથી સતત ત્રીજા દિવસે પણ અમરનાથ યાત્રા સ્થગિત છે. મહત્વનું છે કે, અમરનાથ યાત્રાના માર્ગમાં આવતા સ્થળોએ ભારે વરસાદ અને અનેક જગ્યાઓ પર ભૂસ્ખલન અને ભેખડ ધસી પડવાને કારણે બુધવારથી યાત્રા સ્થગિત કરવામાં આવી હતી.અમરનાથ યાત્રા શ્રાઈન બોર્ડના એક પ્રવક્તાએ જણાવ્યું કે, દક્ષિણ કશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહેલગામ માર્ગ પરથી આજથી યાત્રા ફરી શરુ કરવામાં આવી છે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, મધ્ય કશ્મીરના ગંદરબલ જિલ્લામાં બાલતાલ રુટથી યાત્રા હજી પણ મુલતવી રાખવામાં આવી છે.

શ્રીનગર લેહ નેશનલ હાઈવે પર કંગનના દાણીબાગ વિસ્તારમાં અને બેઝ કેમ્પ પાસે ભૂસ્ખલનને કારણે યાત્રા શરુ કરી શકાઈ નથી. દાણીબાગામાં ભૂસ્ખલનને કારણે લદ્દાખ પ્રદેશને કશ્મીર ખીણ સાથે જોડતો એકમાત્ર માર્ગ શ્રીનગર લેહ હાઈવે બંધ રાખવામાં આવ્યો છે.