એરસેલ મેક્સિસ કેસ: પી. ચિદમ્બરમ અને કાર્તિની અટકાયત પર 7 ઓગસ્ટ સુધી રોક

નવી દિલ્હી- એરસેલ મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની અદાલતે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિની ધરપકડ માટે મુક્તિ મર્યાદા 7 ઓગસ્ટ સુધી લંબાવી છે. પી. ચિદમ્બરમે આ અંગે ગત 30 મેના રોજ અદાલતને વિનંતી કરી હતી કે, આ કેસમાં ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવે. તેમણે જણાવ્યું કે, આ કેસના તમામ પુરાવાઓની પ્રકૃતિ દસ્તાવેજી છે અને તે હાલની સરકાર પાસે પહેલાથી જ ઉપલબ્ધ છે.પૂર્વ નાણાંપ્રધાને કહ્યું કે, આ ઉપરાંત તેમની પાસેથી મેળવવા જેવું અન્ય કંઈ નથી. આપને જણાવી દઈએ કે, અદાલતે 2જી સ્પેક્ટ્રમ કેસ સાથે સંકળાયેલા એરસેલ-મેક્સિસ કેસમાં CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અનુક્રમે વર્ષ 2011 અને 2012માં દાખલ કરવામાં આવેલા બે અલગ અલગ કેસમાં કાર્તિ ચિદમ્બરમને 10 જુલાઈ સુધી ધરપકડ પર રાહત આપી હતી. જે મુદ્દત આજે પુરી થતી હતી.

આ મામલો એરસેલમાં રોકાણ કરવા માટે મેસર્સ ગ્લોબલ કોમ્યુનિકેશન્સ હોલ્ડિંગ સર્વિસીઝ લિમિટેડને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની (FIPB) મંજૂરી સાથે સંબંધિત છે.