ચીનના રાષ્ટ્રપતિને મળ્યા પીએમ મોદીઃ અનેક સમજૂતી કરાર પર થયા સહી સિક્કા

કિંગદાઓ(ચીન)– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચીનના કિંગદાઓ શહેરમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી છે. બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગ માટે તમામ પાસાઓ પર ચર્ચા કરી હતી. બેઠક શરૂ થાય તે પહેલા બન્ને નેતાઓ ખુબ જ આનંદથી મળ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભારત અને ચીનની વચ્ચે મજબૂત અને સ્થિર સંબધથી દુનિયાને સ્થિરતા અન પ્રેરણા મળતી રહશે. તેમણે વુહાનમાં શી સાથેની અનોપચારિક મુલાકાતને પણ યાદ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વુહાનમાં અનૌપચારિક સમિટ પછી બન્ને નેતાઓના સંબધોમાં ફરી નવી રફતાર મળી છે. વુહાન સમિટના છ સપ્તાહ બાદ બન્ને નેતાઓ ફરીથી મળ્યા છે. વીતેલા વર્ષે ડોકલામ વિવાદ પછી સીમા પર વધુ સારા સંબધો સ્થપાયા છે.શનિવારે બન્ને નેતાઓની હાજરીમાં ભારત અને ચીન વચ્ચે અનેક સમજૂતી કરાર પર સહી સિક્કા થયા છે. જાણવા મળ્યા મુજબ બન્ને નેતાઓએ વુહાનમાં જે પહેલી અનૌપચારિક શિખર વાર્તામાં નિર્ણય કર્યો હતો તેની પ્રગતિ પર ચર્ચા થઈ શકે છે. મોદી અને શી જિનપિંગ વચ્ચેની આ બેઠક શંઘાઈ સહયોગ સંગઠમ(એસસીઓ)ના વાર્ષિક સંમેલનની બહાર થઈ હતી.