અમદાવાદ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 1 આજથી 50 દિવસ બંધ, 104 ટ્રેન પર અસર

અમદાવાદ: શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને રૂ.30 કરોડના ખર્ચે હેરિટેજ લૂક આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. જેની કામગીરી આ મહિનેથી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈને આજથી એટલે કે, 2 જાન્યુઆરીથી કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 નું નવિનીકરણ કરવાનું હોવાથી આગામી સળંગ 5૦ દિવસ માટે પ્લેટફોર્મ નંબર 1 બંધ રખાશે. આ પ્લેટફોર્મ પરથી પસાર થતી 46 જેટલી ટ્રેનોનું સંચાલન અન્ય પ્લેટફોર્મ પરથી કરવાનું થતાં આશરે 104 ટ્રેનોના સંચાલન પર તેની અસર થશે. જેમાં કેટલીક ટ્રેનો મોડી પડવાની શક્યતા છે.

તો બીજી મહેસાણા તરફથી આવતી મેમુ ટ્રેનોને સાબરમતી સુધી શોર્ટ ટર્મિનેટ કરાશે, જ્યારે વડોદરા તરફથી આવતી ટ્રેનોને વટવા સુધી જ ચલાવાશે. જેને લઇને મુસાફરોને થોડાક સમય સુધી હાલાકી ભોગવવી પડી શકે છે.  વટવા અને સાબરમતી ઉતરતા મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે ટ્રાન્સપોર્ટની સુવિધા કરવાની માગ પણ ઊઠી હતી.

આખરે કાલુપુર રેલવે સ્ટેશન અથવા અમદાવાદ રેલવે સ્ટેશનને હેરિટેજ લૂક મળશે. આ હેરિટેજ લૂકમાં રેલવે સ્ટેશનના સ્ટ્રક્ચરમાં કોઈ ફેરફાર નહિ થાય, માત્ર બહારના ભાગમાં ઐતિહાસિક ઈમારતોની રેપ્લિકા બનાવાશે.  જેમાં અમદાવાદ સહતિ વિવિધ હેરિટેજ સ્થળોની ડિઝાઇન લેવામાં આવી હતી. જેમાં હેરિટેજ પ્લાસ્ટર, જીઆરસીની જાળીઓ, ધાર્મિક તહેવારો પ્રમાણે કપ્યુટરથી ચલાવી શકાય તેવું કલર લાઇટિંગ તેમજ સ્ટેશનમાં પ્રવેશવાનો અને બહાર નિકળવાનો ગેટ ત્રણ દરવાજા અને દિલ્હી દરવાજા જેવો હશે. આ સિવાય શહેરના હેરિટેજ સ્થળોના આર્ટ તેમ જ ડિજિટલ ડિસ્પ્લે પ્રદર્શન પણ કરાશે. હાલમાં બંધ હાલતમાં પડેલા રેલવે મ્યુઝિયમની વોલ કાચની તૈયાર કરી લોકો જોઇ શકે તેવી રીતે ખુલ્લું મુકાશે.

ડિવિઝનલ રેલવે મેનેજર દિનેશ કુમારે જણાવ્યું કે, રિનોવેશનના પગલે 2 જાન્યુઆરી 2019થી 50 દિવસ માટે પ્લેટફોર્મ નંબર 1 બંધ રહેશે. શતાબ્દી જેવી અન્ય મહત્વની ટ્રેન બીજા પ્લેટફોર્મ પર ડાયવર્ટ કરવામાં આવશે.

ટ્રેનોના સમય પર થશે અસર

આ કામગીરીને કારણે ટ્રેનોના સંચાલન પર અસર થશે. વડોદરાથી આવતી ડેમુ ટ્રેનોને વટવા સુધી જ ચલાવાશે. અને મહેસાણા તરફથી આવતી ડેમુ-મેમુ ટ્રેનોને સાબરમતી સુધી ચલાવાશે. પ્લેટફોર્મ નંબર ૧ પરથી ૪૬ ટ્રેનો પસાર થાય છે. જેમાંથી ૨૩ ટ્રેનો દૈનિક છે. આ ટ્રેનોને હવે અન્ય પ્લેટફોર્મ પરથી દોડાવાશે. કુલ ૧૨ પ્લેટફોર્મ માંથી પ્લેટફોર્મ નં.૧૧ અને ૧૨ મેટ્રોના કામને લીધે બંધ પડયા છે. જેથી હવે બાકીના ૯ પ્લેટફોર્મ પર ભારણ વધશે. મુસાફરોને ઓછી હેરાનગતી થાય તે માટેના શક્ય તમામ પ્રયાસો કરાશે. હેસાણા અને વડોદરા તરફથી આવતી ડેમુ-મેમુ ટ્રેનોને સાબરમતી અને વટવા સુધી દોડાવાશે. જેને લઇને થોડા દિવસો માટે આ ટ્રેનોના મુસાફરોએ ત્યાંથી જ ટ્રેન પકડવા અને ઉતરવાની ફરજ પડશે.આ ટ્રેનોમાં નોકરીયાતો, વિદ્યાર્થીઓ, છૂટક મજૂરી કરનારાઓ, નાના-મોટા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મોટાભાગે અવર-જવર કરતા હોય છે. દૈનિક અપડાઉન કરતા આવા મુસાફરોએ આ દિવસો દરમિયાન રેલવેતંત્રને સહકાર આપવાની અપીલ પણ રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.