વન ટાઇમ ફી ભરીને લાયસન્સ-પરવાનગી ચાલુ રાખી શકાશેઃ CMનો ઐતિહાસિક નિર્ણય

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ- ગુમાસ્તા ધારા અન્વયેના એકમો માટે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો અભિગમ અપનાવતાં એક મહત્વપૂર્ણ સૈદ્ધાંતિક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. રાજ્યમાં વેપાર-વ્યવસાયકારોને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સરળતા કરી આપીને લાયસન્સ પ્રથા દૂર કરવાનો જે અભિગમ અપનાવેલો છે તેમાં પેટ્રોલ પંપધારકોને લાયસન્સ રિન્યુઅલમાંથી મુકિતના નિર્ણય બાદ આ વધુ એક સૈદ્ધાંતિક નિર્ણય તેમણે કર્યો છે.મુખ્યપ્રધાનના આ નિર્ણય અનુસાર શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ અન્વયે નોંધાયેલા વિવિધ એકમોને હવેથી દર વર્ષે લાયસન્સ પરવાનગી રીન્યુઅલ કરવાને બદલે વન ટાઇમ ફી ભરીને પરવાનગી ચાલુ રાખી શકવાની સરળતા થઇ છે. ઇન્સ્પેકટર રાજમાંથી મુકિત અપાવતા આ સૈધ્ધાંતિક નિર્ણય અનુસાર હવેથી જે વન ટાઇમ ફી ના ધોરણો નિયત કરવામાં આવ્યા છે તેમાં ૧૦ કરતાં વધુ કર્મચારીઓ ધરાવતાં વાણિજ્યીક એકમ માટે રૂ. પ૦૦, દસ કરતાં ઓછા કર્મચારીઓ હોય તેવા એકમો માટે રૂ. રપ૦, દસ કે તેથી વધુ કામદારો-કારીગરો ધરાવતી દુકાનો માટે વન ટાઇમ ફી રૂ. પ૦૦ તથા દસ થી ઓછા કામદાર-કારીગર સંખ્યા ધરાવતી દુકાનો માટે રૂ. ૨પ૦ની ફી રાખવાનું સૂચવાયું છે.

વન ટાઇમ ફીના આ ધોરણોમાં રેસિડેન્શયલ હોટેલ્સ માટે રૂ. રપ૦૦, રેસ્ટોરન્ટ અને ખાન-પાન ગૃહો માટે રૂ. ૧૦૦૦, સિનેમાગૃહો તેમજ જનતા જનાર્દનના જાહેર મનોરંજન માટેના સ્થળો માટે રૂ. પ હજાર તેમજ જે એસ્ટાબ્લીશમેન્ટમાં કોઇ કર્મચારી ન હોય તેમને વન ટાઇમ ફી તરીકે રૂ. રપ૦ ભરવાના રહેશે.