સૂરતઃ માસૂમોના પરિવારને ન્યાયની હાકલ માટે લોહીથી પત્ર લખાયો, સીએમને…

સુરતઃ સરથાણા તક્ષશિલા આર્કેડમાં માર્યા ગયેલા માસૂમોના પરિવારને ન્યાય મળે તે માટે જનતા સોસાયટીના લોકોએ લોહીથી એક પત્ર લખ્યો છે. આ પત્ર આજે કલેક્ટરને આવેદન પત્ર તરીકે આપશે. તો આ સાથે જ આ પત્ર મુખ્યપ્રધાન વિજય રુપાણીને પણ મોકલવામાં આવશે.

લોહીથી લખાયેલા પત્રમાં નાના કર્મચારીઓ સામે કામગીરી કરી મોટાંમાથાંઓને બચાવવા બદલ તંત્રની ઝાટકણી કાઢી છે. આ સાથે પત્રમાં તક્ષશિલા કાંડના તમામ બેદરકારી દાખવનાર જવાબદારો સામે ત્વરિત પગલાં ભરવાની માગ કરી છે. આ પત્ર કલેક્ટર સહિત, મુખ્યપ્રધાન, મુખ્યસચિવ અને પોલીસ કમિશનરને પણ આપવામાં આવશે.

મહત્વનું છે સૂરતના એક આર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં જે આગ લાગી હતી તેમાં 20 જેટલા માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યાં હતાં. બેદરકારીની આ આગે અનેક પરિવારના વ્હાલસોયાં છીનવી લીધાં હતાં. ત્યારે આ ઘટના બાદ જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવાય તેવી માગ ઉઠી છે.

આ ઘટનાના પગસે રાજ્યના તમામ શહેરોમાં તાત્કાલિક ધોરણે ટ્યૂશન ક્લાસીસ બંધ કરાવી દેવાયાં હતાં અને ફાયર સેફટી એનઓસી મળ્યાં બાદ જ ફરીથી ખોલવાનું જણાવવામાં આવ્યું હતું.